આજે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અંતિમ મેચ રમાવાની છે, જે આજની મેચ જીતે છે તેને આ વખતનો આઈપીએલ ચેમ્પિયન કહેવામાં આવશે. બંને ટીમો આજની મેચ માટે થઈ ગઈ છે. મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન રોહિત શર્માએ એક નિવેદન આપ્યુ છે.
રોહિતે કહ્યું કે, ટૂર્નામેન્ટની શરૂઆતથી ખેલાડીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. અંતિમ મેચમાં અમારે કોઈ પણ પ્રકારનું દબાણ લેવાની જરૂર નથી. અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં જેવું કર્યું છે તેમ અમારે આગળ ચાલુ રાખવું પડશે. જો અમે હજી પણ અમારું પ્રદર્શન ચાલુ રાખવામાં સક્ષમ રહીશું, તો પરિણામ ચોક્કસપણે અમારા પક્ષમાં આવશે. આઈપીએલની બીજી ફાઇનલનો ભાગ બનવું એ એક સારી લાગણી છે, અમે સમજીએ છીએ કે સમગ્ર ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરવું, પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું અને પછી ફાઈનલમાં પ્રવેશ કરવો કેટલું મુશ્કેલ છે.
અંતિમ મેચ અમારા માટે બદલાવાની નથી, અમે જેમ રમી રહ્યા છીએ તેમ રમવાનું ચાલુ રાખીશુ, અમારે નાના-નાના ગોલ બનાવતા રહેવું પડશે, જો અમે આ કરીશું તો પરિણામ ચોક્કસપણે અમારા જ પક્ષમાં આવશે.
ઘણીવાર એવો પણ સમય આવ્યો છે કે અમારી સામે ઘણા પડકારો આવ્યા હોય, કોઈ એમ ન કહી શકે કે અમે પહેલા બેટિંગ કરતાં વધુ સારી ટીમ છીએ અથવા સ્કોરનો બચાવ કરતાં વધુ સારી ટીમ છીએ. અમે બંને પ્રસંગોએ સારું પ્રદર્શન કર્યું છે, આવું થઇ શક્યું છે કારણ કે અમારી પાસે જે ટીમ છે, ખેલાડીઓ છે, તેઓ તેમની જવાબદારી નિભાવે છે અને તેઓ તેમની જવાબદારી સમજે છે, જે અમારા માટે ખૂબ મહત્વનુ રહ્યુ છે.