Dahod News/ RTO ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઇવરને ઢોરમાર માર્યો, ટ્રક ન રોકી તો અચાનક વચ્ચે બેરિકેડ ફેક્યા

ટ્રક નહોતી રોકી એટલે અમે ખાલી ડ્રાઇવરને ડરાવતા હતા

Gujarat

Dahod News : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અસાયડી નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઇવરને ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ડ્રાઇવરે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વી. કે. પરમારે ટ્રક આગળ બેરિકેડ ફેકીને ટ્રક રોકાવી હતી અને બાદમાં ડ્રાઇવરને ઢોરમાર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે ડ્રાઇવર અને વીડિયો બનાવનારે આરટીઓ ઇન્સ્પેક્ટર પર રોફ જમાવવાનો આરોપ મુક્યો છે. બીજી તરફ આરટીઓ ઇન્સ્પેક્ટરે વાતને નકારતા એવું કહ્યું છે કે, ટ્રક નહોતી રોકી એટલે અમે ખાલી ડ્રાઇવરને ડરાવતા હતા.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મુંબઈથી દિલ્હી જઈ રહેલી એક ટ્રકને આરટીઓ અધિકારીઓએ રૂવાબારી નજીક રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે ટ્રક ન રોકતાં આરટીઓ ઇન્સ્પેક્ટર વી. કે. પરમારે અચાનક ટ્રકની આગળ બેરીકેટીંગ ફેકતા બેરીકેટીંગ સાથે ટ્રક અથડાતા ટ્રકનું આગળનું ટાયર પંચર થઈ ગયું હતું. આ બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર વી. કે. પરમાર અને તેમની સાથેના અન્ય બે સ્ટાફના કર્મચારીઓએ ટ્રક ડ્રાઇવર નાસીરભાઈને ટ્રકની કેબિનમાંથી નીચે ઉતારીને લાકડાના હાથાથી ગંભીર રીતે ઢોર માર માર્યો હતો.

ડ્રાઇવરે વારંવાર પૂછવા છતાં કે તેને કેમ મારવામાં આવે છે, આરટીઓ અધિકારી અને તેમના સાથીઓએ મારપીટ ચાલુ રાખી હતી. આ ઘટનાનો વીડિયો હાઇવે પરથી પસાર થતા એક રાહદારીએ દૂરથી ઉતાર્યો હતો.વીડિયો ઉતારવાની જાણ થતાં જ વી. કે. પરમારે મારપીટ બંધ કરી અને લાકડું બાજુમાં ફેંકી દીધું હતું. જ્યારે વીડિયો ઉતારનાર વ્યક્તિએ પૂછ્યું કે, “તમે તેને કેમ મારો છો?” તો તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

આ ગંભીર મારપીટના કારણે ઇજાગ્રસ્ત ડ્રાઇવરને 108 એમ્બ્યુલન્સ મારફતે પીપલોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પ્રાથમિક સારવાર ચાલુ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં આરટીઓ ઇન્સ્પેક્ટર વી. કે. પરમાર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો આવા અધિકારી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.આ અંગે ટ્રક ડ્રાઇવર નાસીરભાઈએ જણાવ્યું હતું કે, અમે મુંબઈથી દિલ્હી માલ લઈને જઈ રહ્યા હતા.

ભથવાડા ટોલનાકા પરથી પસાર થયા બાદ અસાયડી નજીક આરટીઓ અધિકારીએ અચાનક ટ્રકની આગળ બેરીકેટીંગ નાખી દીધું હતું, જેના કારણે ટ્રકનું ટાયર પંચર થઈ ગયું અને હેલ્પરને ઇજા થઈ હતી.અમે દર વખતે એન્ટ્રીના પૈસા આપીને જઈએ છીએ અને આ વખતે પણ પૈસા આપવાની વાત કરી છતાં આરટીઓ અધિકારી અને અન્ય બે વ્યક્તિઓએ મને માર માર્યો.

બીજી તરફ આ ઘટના અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર વી. કે. પરમારે જણાવ્યું કે, અમે રૂવાબારી નજીક ટ્રક ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે ટ્રક રોકી નહીં. તેથી અમે બેરીકેટીંગ મૂકીને ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રક ચાલકે બેરીકેટીંગને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ટ્રકનું ટાયર પંચર થઈ ગયું હતું. જ્યારે અમે ટ્રક પાસે પહોંચ્યા ત્યારે ડ્રાઇવર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અમારી પાસે પાઈપ હતી જેનાથી અમે ડ્રાઇવરને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે કોઈ મારપીટ કરી નથી. આ બાબતે અમે પીપલોદ પોલીસ મથકે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ સરકારી કામગીરીમાં અડચણરૂપ થવાની ફરિયાદ નોંધાવી છે અને ડ્રાઇવરને ડેન્જરસ ડ્રાઇવિંગનો મેમો પણ આપ્યો છે.

”આરટીઓ અધિકારીને ટ્રક ડ્રાઇવરને માર મારતો વીડિયો ઉતારનાર મોટાહાથીધરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ વિનેશભાઈ રાવતે જણાવ્યુ કે, આજે સવારે અમે ગાંધીનગર જઈ રહ્યા હતા ત્યારે દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી નજીક હાઈવે રોડ ઉપર બે-ત્રણ લોકો એક ટ્રક ડ્રાઇવરને માર મારતા હતા, તે જોઈને અમે મોબાઈલમા વીડિયો ચાલુ કરીને અમારી ગાડીને ટ્રક પાસે ઉભી રાખી હતી મોબાઈલમાં વીડિયો ઉતારતા હોવાનુ જોઈને માર મારતો માણસ લાકડી ફેંકીને અમારી ગાડી તરફ આવતા તેને મે પુછ્યુ કે આ ડ્રાઇવરને આટલો બધો માર કેમ મારો છો ત્યારે કોઈ જવાબ આપ્યો નહોતો.

વિનેશભાઈ રાવતે વધુમાં જણાવ્યું કે, અમે ડ્રાઇવરને પુછ્યુ ત્યારે ડ્રાઇવરે જણાવ્યુ કે,આરટીઓના અધિકારીઓ કાયમ અહિંયા ટોલનાકે ઉભા રહીને અમારી પાસે એન્ટ્રીના નામે પૈસાની ઉઘરાણી કરે છે. ડ્રાઇવરને માર વધુ પડતો મારવામા આવ્યો હોવાથી તેને સારવાર માટે 108ની મદદથી પીપલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામા આવ્યો હતો. આ ઘટનાની તપાસ થવી જોઈએ અને ગરીબ ડ્રાઇવરોને કાયદાના નામે ડરાવી ધમકાવી પૈસા પડાવતા આવા ભ્રષ્ટાચારી આરટીઓ ઇન્સ્પેક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોને મંજૂરી આપવામાં આવશે નહીં; અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા, કહ્યું તમે લોકો દેશને તોડી નાખશો

આ પણ વાંચો:મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ બિલને કોર્ટમાં પડકારશે, કહ્યું- રસ્તાઓ પર વિરોધ કરશે

આ પણ વાંચો:અમિત શાહનો વક્ફ બિલ પર કોંગ્રેસ પર કટાક્ષ, અમે તેમની જેમ સિમિતિઓ નથી બનાવતા