દાદરા નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં દપાડાથી સુરંગી તરફ જવાના રસ્તા પર નવા પુલના બાંધકામનું કામ શરૂ હોવાથી વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પાર કરવાની ફરજ પડે છે.
મહત્વનું છે કે જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવેલ કામ આજ દિન સુધી પુરૂ ન થતા ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે સત્તાધિશો દ્વારા ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ હાલ તો હજી પુલાના પિલ્લર જ ઉભા થયા છે. બીજુ કામ તો હજી બાકી છે.
સાકરતોડ નદી પાર કરીને રોજ અઢીસો જેટલા વિદ્યાર્થી જીવના જોખમે શાળાએ જાય છે. મહત્વનું છે કે જો આ પુલ બની જાય તો ગામ લોકોને દસ કિલોમીટર લાંબા રસ્તાથી છૂટકારો મળી જાય પરંતુ તંત્રના ઢીલાપણાને કારણે આ કામ મંદ ગતિથી થઈ રહ્યું છે જો ચોમાસામાં નદીમાં પુર આવેતો નદી પાર કરતા મોટી જાનહાનિ થઈ શકે તેમ છે.
સ્થાનિકોનું કહેવું છે કે, આ ચેકડેમ પરથી હાલમા રોજના અઢીસોથી વધુ શાળામા ભણતા વિદ્યાર્થીઓ આ નદી ક્રોસ કરીને દપાડા શાળામા ભણવા જાય છે, જેને મુકવા માટે ફરજીયાત વાલીઓએ પણ આવવુ પડે છે. આ રસ્તો અમારા ગામના લોકો માટે આ શોર્ટકટ રસ્તો છે, જો અહીંનો રસ્તો બંધ થઇ જાય તો અમારે સુરંગી આપતી થઈને દસ કિલોમીટરનો ફેરાવો પડે છે.
જિલ્લા પંચાયતના અધિકારીઓ અને પદાધિકારીઓને અમારી સમસ્યા અંગે રજુઆત કરવામા આવી હતી અને જણાવ્યુ હતુ કે અમારા બાળકો જે શાળામા ભણે છે તેઓના માટે કામચલાઉ ચોમાસાની સીઝન દરમ્યાન બસ સેવા આપવામા આવે, જેથી ગામના લોકોને રાહત થઇ શકે.
ગામના દરેક લોકો પાસે સાધન હોતા નથી જેના કારણે કેટલાક લોકો તો પગપાળા જ આવતા જતા હોય છે. જેથી અમારા ગામમા બસ સેવા શરૂ કરવામા આવે તો કમસેકમ શાળામા ભણતા વિદ્યાર્થીઓને ઘણી રાહત થઇ શકે અને એમનુ ભણતર પણ ના બગડે અને ગામના લોકોને પણ ચોમાસા દરમ્યાન રાહત મળી શકે.
