sports news/ ભારતીય ઘરેલુ ક્રિકેટમાં ફિક્સિંગનો સનસનાટીભર્યો ખુલાસો: આસામના ચાર ખેલાડીઓ સસ્પેન્ડ, FIR નોંધાઈ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26 દરમિયાન ખેલાડીઓને પ્રભાવિત કરવાનો આરોપ

Sports
આસામના ચાર ક્રિકેટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે

Sports News : ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2025-26 સીઝન વચ્ચે ભારતીય ઘરેલુ ક્રિકેટમાં ખળભળાટ મચાવનાર મામલો સામે આવ્યો છે. જેમાં આસામ ક્રિકેટ એસોસિએશન (ACA)એ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ આસામના ચાર ક્રિકેટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

સસ્પેન્ડ કરાયેલા ખેલાડીઓમાં અમિત સિંહા, ઈશાન અહેમદ, અમન ત્રિપાઠી અને અભિષેક ઠાકુરનો સમાવેશ થાય છે. આ ચારેય પર 26 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન લખનૌમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આસામ ટીમના ખેલાડીઓને પ્રભાવિત કરવા અને ઉશ્કેરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે.

ACAના સચિવ સનાતન દાસે શુક્રવાર, 12 ડિસેમ્બરે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે મામલાની ગંભીરતા જોતા ગુવાહાટી ક્રાઈમ બ્રાન્ચમાં FIR નોંધવામાં આવી છે. સાથે જ BCCIની ભ્રષ્ટાચાર વિરોધી અને સુરક્ષા એકમ (ACSU) દ્વારા પણ પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. ACA મુજબ, તપાસ દરમિયાન એવા પ્રથમદર્શી પુરાવા મળ્યા છે, જે ચારેય ખેલાડીઓની સંડોવણી તરફ સંકેત કરે છે અને રમતની નિષ્પક્ષતા તથા વિશ્વસનીયતાને સીધો ખતરો પહોંચાડે છે.

સસ્પેન્ડ થયેલા ખેલાડીઓમાં અભિષેક ઠાકુર સૌથી જાણીતું નામ છે. તેઓ રણજી ટ્રોફીમાં આસામનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે અને આ સિઝનમાં 12 ફર્સ્ટ-ક્લાસ, 11 લિસ્ટ-A અને 10 T20 મેચ રમી છે. અમિત સિંહા પણ અનુભવી ખેલાડી છે, જેમણે આસામ માટે 32 ફર્સ્ટ-ક્લાસ, 46 લિસ્ટ-A અને 31 T20 મેચ રમેલી છે. ઈશાન અહેમદ અને અમન ત્રિપાઠીએ પણ વિવિધ વયજૂથની સ્પર્ધાઓમાં આસામનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ACAએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચારેય ખેલાડીઓનું સસ્પેન્શન યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ ACA, તેની જિલ્લા એકમો અથવા સંલગ્ન ક્લબો દ્વારા આયોજિત કોઈપણ રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. સાથે જ, કોચિંગ કે અમ્પાયરિંગ જેવી કોઈપણ ક્રિકેટ સંબંધિત ભૂમિકા નિભાવવાની પણ મનાઈ રહેશે.

સનાતન દાસે તમામ જિલ્લા ક્રિકેટ એસોસિએશનોને આ આદેશનું કડક પાલન કરવા સૂચના આપી છે. ACAએ પોલીસ તંત્ર અને BCCIની એન્ટી-કરપ્શન યુનિટ સાથે સંપૂર્ણ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. એસોસિએશનનું કહેવું છે કે ક્રિકેટની પવિત્રતા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને જો આરોપો સાબિત થશે તો ખેલાડીઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ ભારતીય ક્રિકેટમાં મેચ ફિક્સિંગના જોખમોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. હવે સમગ્ર દેશની નજર આ કેસની તપાસ પર ટકેલી છે, જે આ ખેલાડીઓના ક્રિકેટ ભવિષ્યનો નિર્ણય કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  મેચ ફિક્સિંગ કેસમાં શ્રીસંતને કેવી રીતે મળી રાહત? દિલ્હીના પૂર્વ પોલીસ કમિશનરનો મોટો ખુલાસો

આ પણ વાંચો: શ્રીલંકાના આ ખૂંખાર બોલરની ધરપકડ! મેચ ફિક્સિંગનો લાગ્યો આરોપ

આ પણ વાંચો: IPL મેચ ફિક્સિંગ સાથે પાકિસ્તાનનું કનેક્શન, CBIએ કરી 3 લોકોની ધરપકડ