નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફે બુધવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને 2019માં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ વધારવામાં જાણી જોઈને વિલંબ કર્યો હતો જેથી પ્રક્રિયા પર વિવાદ ઊભો થાય.
શરીફે એમ પણ કહ્યું હતું કે તેમનો પક્ષ, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), હંમેશા સૈન્યનું સન્માન કરે છે, જ્યારે સૈન્ય દળોને નિશાન બનાવતા એક સોશિયલ મીડિયા ઝુંબેશ પાછળ ખાનની આગેવાની હેઠળના પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફનો હાથ હતો.
વિપક્ષે ખાન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો
શાહબાઝ શરીફની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે ઈમરાન ખાન 2018માં દેશની સત્તા સંભાળ્યા બાદ સૌથી મુશ્કેલ રાજકીય કસોટીનો સામનો કરવા જઈ રહ્યા છે. પાકિસ્તાનના વિરોધ પક્ષોએ ખાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના માટે શુક્રવારે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે.
નોટિફિકેશનમાં ત્રણ વખત સુધારો કરવામાં આવ્યો હતો- શાહબાઝ શરીફ
સુત્રોના જણાવ્યા અનુસાર, શરીફે કહ્યું કે જ્યારે વડાપ્રધાન ખાને 2019માં આર્મી ચીફનો કાર્યકાળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે નોટિફિકેશનમાં ત્રણ વખત સુધારો કરવામાં આવ્યો. જોકે શરીફે સ્વીકાર્યું હતું કે તેમની પાસે તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી.
જયારે પીએમ ઈમરાન ખાને આજે કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં રાજીનામું નહીં આપે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી તેહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અવિશ્વાસ પ્રસ્તાવમાં વિજયી બનશે. પત્રકારો સાથે વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે જો કોઈ એવું વિચારે છે કે તે ઘરે જશે તો તે ખોટો છે.