Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2023ની ગ્રાન્ટમાં મંજૂર થયેલી સાયકલો હજુ સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી, પરંતુ આ સાયકલો ખાનગી દુકાનમાં જોવા મળી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં અનેક સવાલો ઉઠાવ્યા છે.
જિલ્લામાં સાયકલ વિતરણમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. હજારોની સંખ્યામાં સાયકલો વિતરણ વગર જ પડી રહી છે અને કેટલીક સાયકલો તો ભંગાર બની ચૂકી છે. આ સાથે જ, ગુજરાતમાં ભંગાર સાયકલો પધરાવવા માટે એજન્સીઓ સક્રિય થઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે, શું સાયકલ વિતરણમાં કોઈ મોટું કૌભાંડ થયું છે ? શા માટે સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહી નથી ? ખાનગી દુકાનોમાં સાયકલો ક્યાંથી આવી ? ભંગાર બની ચૂકેલી સાયકલોનું શું થશે ? આ મામલે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. સાથે જ, વિદ્યાર્થીઓને મળવા પાત્ર સાયકલોનું વિતરણ પણ યોગ્ય સમયસર કરવું જોઈએ.
