Gandhinagar News : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “વિકસિત ભારત @ 2047”ના વિઝનને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત રાજ્ય સંકલ્પબદ્ધ છે. આ વ્યાપક વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રીએ રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે છ આર્થિક પ્રદેશો માટેના રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનને મંજૂરી આપી છે. આ માસ્ટર પ્લાન રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો મહત્વપૂર્ણ રોડમેપ પૂરવાર થશે.
રાજ્ય મંત્રી મંડળની બેઠક
વધુ માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય થીંક ટેંક “ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-GRIT” આ છ પ્રાદેશિક માસ્ટર પ્લાનને સફળ બનાવવા માટે સ્ટ્રેટેજીક ફોરસાઈટ અને ડેટા-આધારિત ભલામણો પૂરી પાડશે. GRITની ભલામણો અને આ રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન “વિકસિત ગુજરાત @ 2047” અને “ગુજરાત @ 2035”નો રોડ મેપ સાકાર કરવા માટેનું મહત્વપૂર્ણ માધ્યમ પૂરવાર થશે.
મંત્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે મંજૂર કરેલા રીજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાનના સરળ અમલીકરણ માટે દરેક રીજન માટે એક ઉચ્ચ અધિકારીની ઇકોનોમિક માસ્ટર પ્લાન કો-ઓર્ડિનેટર (નોડલ અધિકારી) તરીકે નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર મધ્ય ગુજરાત રીજન માટે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, સૌરાષ્ટ્ર રીજન માટે પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, કચ્છ રીજન માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઈસ ચેરમેન અને CEO રાજકુમાર બેનીવાલ, દક્ષિણ ગુજરાત રીજન માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ, સૌરાષ્ટ્રના દરિયા કિનારાના રીજન માટે ખાણ ખનિજ કમિશનરધવલ પટેલ તથા ઉત્તર ગુજરાત રીજન માટે GIDCના મેનેજીંગ ડિરેક્ટર પ્રવિણા ડી.કે.ની નિમણૂંક કરવામાં આવી છે.
આ EMP કો-ઓર્ડીનેટર ઇકોનોમિક માસ્ટર પ્લાનના અમલીકરણ સાથે જોડાયેલા સરકારી વિભાગો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સ્થાનિક વહીવટી તંત્ર અને GRIT જેવા તમામ હિતધારકો વચ્ચેની મુખ્ય કડી તરીકે કાર્ય કરશે. તેઓ યોજનાઓ અને મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ સમયસર પૂરા થાય તે માટે જુદા-જુદા વિભાગો વચ્ચે સંવાદ અને સહયોગ સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત EMP કોઓર્ડિનેટર દરેક પ્રાદેશિક યોજના હેઠળ ઓળખાયેલા પ્રોજેક્ટ્સની પ્રગતિ પર સતત નજર રાખશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

