Ahmedabad News: કોલકાતાની આર.જી. કાર મેડિકલ કોલેજમાં જુનિયર ડોક્ટર દુષ્કર્મ-હત્યાની ઘટનાનો દેશભરમાં વિરોધ વધુને વધુ પ્રબળ બની રહ્યો છે. તેને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને 24 કલાકની હડતાળનું એલાન કર્યુ છે. તેના હેઠળ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સાથે જોડાયેલા રાજ્યભરના ડોક્ટર ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા છે. આ સાથે જ સવારે રેલી અને સાંજે કેન્ડલ માર્ચનું પણ આયોજન ડોક્ટર્સ દ્વારા કરાયું હતું. બીજી તરફ ગુજરાત આયુર્વેદ એસોસિએશને પણ આ ઘટનાના વિરોધમાં બંધનું એલાન જાહેર કર્યું છે.
એક તરફ કલકત્તાની ઘટના પછી દેશભરના તબીબોમાં રોષ ફાટી નીકળ્યો છે. દેશભરમાં ડોક્ટર્સ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને પીડિતાને ન્યાય મળે તે માટે અને જવાબદારોને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે ઇન્ડીયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ગુજરાતના ડોક્ટરોએ આજે સવારે છ વાગ્યાથી રવિવાર સવારના છ વાગ્યા સુધી ઓપીડી સેવા બંધ રાખવાનું એલાન આપ્યું છે. એટલે કે 24 કલાક સુધી બંધ પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ દર્દીઓને હાલાકી ન પડે તેને લઈને ઈમરજન્સી સેવા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ફક્ત અમદાવાદ જ નહીં પાટણની ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયા છે. સિદ્ધપુર અને રાધનપુર સહિતની હોસ્પિટલોમાં પણ આજે હડતાળ છે. ખાનગી હોસ્પિટલોમાં ફક્ત ઇમરજન્સી સારવાર જ થશે. ઘટનાના વિરોધમાં 24 કલાક ઓપીડી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દોષિતોને કડક સજા આપી ન્યાય આપવા માંગ છે.
આ પણ વાંચો: ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન
આ પણ વાંચો: હિંમતનગરના GIDC ઓવરબ્રિજ પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત
આ પણ વાંચો: અમદાવાદમાં નિકોલમાં આવેલું ખાણીપીણી બજાર સીલ