હાલોલ G.I.D.C.સ્થિત મોડલ સ્કૂલનો આ તો કેવો મોડલ વહીવટ…
અંધેર નગરી ના જેવા હાલ અત્યારે ગુજરાતના શિક્ષણ વિભાગમાં જોવા મળી રહ્યા છે. ધોરણ ૧૦ માં નાપાસ વિધાર્થીનીને સીધું જ ધોરણ ૧૧ માં પ્રવેશ આપી દેવામાં આવ્યો હોવાની ઘટના બે વર્ષ બાદ પ્રકાશમાં આવી છે. ક્યાં કારણો સર અને કેવી રીતે આ પ્રવેશ આપવામાં આવ્યો તે એક ઉકેલ માંગી લેતો કોયડો બની ને ઉભું છે. તો સાથે આ વિધાર્થીની એ સહજતાથી ધોરણ ૧૧ માં પ્રવેશ પણ મેળવ્યો છે તો સાથે તેમાં ઉતીર્ણ પણ થઇ હતી.
હાલોલ શહેરના જીઆઈડીસી માં આવેલ સરકાર સંચાલિત મોડલ સ્કૂલના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવેલ હતી. જ્યારે સ્કૂલના કર્મચારીઓના બિન જવાબદાર વલણને પગલે વિદ્યાર્થીનીના બે વર્ષ વેડફાઈ ગયા હતા.
હાલોલ તાલુકાના પાવાગઢ ગામે રહેતી એક રાઠવા પરિવારની વિદ્યાર્થીનીને બે વર્ષ પૂર્વે હાલોલ જીઆઈડીસીમાં આવેલ મોડલ સ્કુલ ખાતે ધોરણ ૧૧ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેથી વિધાર્થીની એ ધોરણ ૧૧ ની વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ પાસ થતાં તેને શાળામાં જ ધોરણ ૧૨ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કોવિડને પગલે વિદ્યાર્થીની ધોરણ ૧૨ નો ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ ધોરણ ૧૨ની વાર્ષિક પરીક્ષા આપવા માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે જ્યારે વિદ્યાર્થીની શાળાએ પહોંચી ત્યારે શાળાના શિક્ષકે એવો ઘટસ્ફોટ કર્યો હતો. કે વિધાર્થીની ધોરણ ૧૦માંનાપાસ થયેલ હોવાથી તે ધોરણ ૧૨ની વાર્ષિક પરીક્ષા આપી શકશે નહી. જેથી વિધાર્થીની હેબતાઈ ગઈ હતી. અને આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. શાળા સંચાલકોની બેદરકારીને પગલે તેમની દિકરીના ભણતરના બે વર્ષ વેડફાઈ ગયા હોવાનો આક્ષેપ તેના વાલી દ્વારા કરવામાં આવ્યા હતા. જ્યારે ધોરણ ૧૦માં નાપાસ થયેલ વિદ્યાર્થીનીને ધોરણ ૧૧માં પ્રવેશ આપી ધોરણ ૧૧ પાસ કર્યાનું પ્રમાણપત્ર આપીને ધોરણ ૧૨માં પ્રવેશ આપી દેવામાં આવ્યા બાદ આખું વર્ષ ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ જ્યારે વાર્ષિક પરીક્ષાનું ફોર્મ ભરવાનું થયું ત્યારે તે ધોરણ ૧૦માં નાપાસ થયેલ હોવાનું જણાવતું શાળાનું વહિવટીતંત્ર બે વર્ષ સુધી શું કરતું હતું? વિદ્યાર્થિનીના ધોરણ ૧૦ની માર્કશીટનું બે વર્ષ દરમિયાન ક્યારે પણ વેરિફિકેશન કરવામાં આવ્યું ન હતું તેવા પ્રશ્નો ઉદ્દભવ્યા હતા. તેમજ ઉપરોક્ત બનાવ પરથી શું આ શાળામાં પાછલાં બે વર્ષ દરમિયાન કોઈ પ્રકારનું વિદ્યાર્થીઓના પ્રમાણપત્રો નું વેરીફીકેશન જે તે વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું નહી હોય ? તેવા પ્રશ્નો પણ ઉદ્દભવ્યા હતા.
આ સમગ્ર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી ગોધરાને પુછતાં તેઓએ જણાવેલ કે ઉપરોક્ત મામલામાં બંન્નેની ભૂલ છે.વિદ્યાર્થીની એ ધોરણ ૧૦માં નાપાસ હોવા છતાં ધોરણ ૧૧માં પ્રવેશ માંગ્યોને શાળા સંચાલકો એ ચકાસણી કર્યા વગર ધોરણ ૧૧માં પ્રવેશ આપ્યો. તેમજ જો વિધાર્થીની ભવિષ્યમાં ધોરણ ૧૨ ની પરીક્ષા આપવા ઈચ્છુક હશે તો તે પૂર્વે તેણીએ ધોરણ ૧૦ની પરીક્ષા ફરજીયાત પાસ કરવાની રહેશે. તેમજ બનાવ સંદર્ભે શિક્ષણાધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીનીએ ધોરણ ૧૦ માં નાપાસ હોવાના દસ્તાવેજો રજુ કરી એડમીશન મેળવ્યું હોવાથી આ અંગેની નોટીસ આપી તેનો ખુલાસો માંગવામાં આવશે. તેમજ સ્કૂલના જે તે સમયના કર્મચારી દ્વારા આવી ભૂલ કરવામાં આવી છે. તેઓને પણ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કારણદર્શક નોટીસ આપી ખુલાસો માંગવામાં આવશે અને બંન્ને પક્ષોના જવાબો મેળવ્યા બાદ કચેરી તરફથી તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
જ્યારે સમગ્ર મામલા અંગે મોડેલ સ્કૂલના આચાર્યનો ટેલીફોનીક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા તેમનો મોબાઈલ નો રીપ્લાય આવતો હતો.