અમદાવાદ
આ વર્ષે નવરાત્રીમાં જો તમે શહેરની ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસમાં ગરબા રમવા જવાના હોવ તો વાહનોના પાર્કિંગની તમારે ચિંતા કરવી પડશે કારણ કે આ વર્ષે પાર્કિંગના મુદ્દે પોલીસ કડક વલણ અપનાવી રહી છે.
જેના લીધે દરેક ગરબાના આયોજકને પોલીસે પાર્કિંગની જેટલી વ્યવસ્થા હોય તેટલા જ પાસ વહેંચવા માટે સૂચના આપી છે.
અમદાવાદમાં રાજપથ અને કર્ણાવતી ક્લબમાં પણ આ વખતે પાર્કિંગના કારણે માત્ર ક્લબના મેમ્બર માટે જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.
જો પાર્કિંગમાં જગ્યા નહીં હોય અને ખેલૈયાઓ બહાર રોડ પર વાહન પાર્ક કરી ગરબે રમવા જશે તો ટ્રાફિક પોલીસ તેમનાં વાહન ટોઇંગ કરીને લઈ જશે.
નવરાત્રીને માત્ર ૫ દિવસ જ બાકી છે તેમ છતાં હજુ સુધી માત્ર રપથી વધુ અરજીઓ પોલીસને મળી છે.
ક્લબ, પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસની બહાર રોડ મુખ્ય રોડ પર એક પણ વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહિ.
ગરબાના આયોજકોને મંજૂરી આપતા સમયે પોલીસ દ્વારા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. ગરબાના સ્થળે અને પાર્કિંગમાં ફરજીયાતપણે સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે.
નવરાત્રી દરમ્યાન પોલીસ દ્વારા મોડી રાત સુધી ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પાર્કિંગ પૂરું પાડવાની જવાબદારી ગરબા આયોજકોની છે, જેથી આયોજકોએ પાર્કિંગની સ્થિતિ શું છે એની માહિતી આપવી પડશે ત્યારે જ પોલીસ તેમણે મંજૂરી આપશે.
શહેરમાં ઘણા એવા પાર્ટી પ્લોટ આવેલા છે, જેમાં પાર્કિંગની ક્ષમતા ખૂબ જ ઓછી છે, જેના કારણે તેમને આસપાસમાં ખાલી પ્લોટ અથવા અન્ય વૈકલ્પિક જગ્યા ભાડે લેવાની ફરજ પડી શકશે જેના લીધે પાસના ભાવ પણ વધારે કિંમતના છે.
પોલીસ રસ્તા પર જે ખેલૈયા આડેધડ પાર્કિંગ કરશે તેની પર કાર્યવાહી કરશે.