ગુજરાત,
સાબરકાંઠાના ઢુંઢરમાં 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મની ઘટના બાદ ઠેરઠેર પરપ્રાંતિયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે હુમલાની ઘટનાને સાંખી લેવામાં નહીં આવે.
આવું કૃત્ય કરનારને કડક હાથે ડામી દેવામાં આવશે. રાજ્યમાં કેટલીક જગ્યાએ પરપ્રાંતિયો પર હુમલા કરવામાં આવ્યા છે. મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં હુમલાના બનાવ બન્યા છે.
પરપ્રાતિયો પર થઈ રહેલા હુમલાની ઘટનાને ડામવા માટે રાજ્ય સરકાર હરકતમાં આવીને આઈબીને સતર્ક કરી દીધું હતું. આઈબી સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે. સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવીને ખોટી ઘટનાને અંજામ ન આપવામાં આવે તે માટે કમર કસી છે.
મહેસાણાના ઇન્દ્રાડ ગામે પરપ્રાંતીય લોકોની કોલોનીને ઠાકોર સેના દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. જેમાં 100થી 150 લોકોના ટોળાએ કોલોનીમાં તોડફોડ કરી હતી, તેમજ પરપ્રાંતીય લોકોને માર પણ મારવામાં આવ્યો હતો.
જેમાંના કેટલાક લોકો જીવ બચાવવા કોલોની છોડીને નાસી ગયા હતા. જયારે મજૂરી કરીને જીવતા ગરીબ માણસોએ પૈસા ન હોવાના કારણે ભયના માહોલ વચ્ચે ઘરમાં જ સંતાઈને જીવ બચાવ્યો હતો.