ખેડૂતોના આંદોલન અને ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની માગણી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. ખેડૂતો દ્વારા હાઇવે જામ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ રસ્તાઓ અનિશ્ચિત સમય માટે રોકી શકાતા નથી. કોર્ટે ખેડૂત સંગઠનોને વિરોધ કરનારા ખેડૂતોને હટાવવાની માગણી કરતી અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે આ મામલે હવે 7 ડિસેમ્બરે સુનાવણી થશે.
આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસ કે કૌલે કહ્યું કે રસ્તાઓ કલિયર હોવા જોઈએ. તેમણે કહ્યું કે અમે વારંવાર કાયદા ઘડી નથી શકતા. તમને આંદોલન કરવાનો અધિકાર છે, પરંતુ તમે અનિશ્ચિત સમય સુધી રસ્તો રોકી શકતા નથી. હવે કોઈક ઉપાય શોધવો પડશે. રોડ જામના મુદ્દે સમસ્યા છે.
અરજદારે માંગ કરી હતી કે ખેડૂતોના આંદોલનને કારણે નોએડાથી દિલ્હીને જોડતા રસ્તાઓ બંધ છે અને તેના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તાઓ ખોલવા જોઈએ. જોકે, છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે શા માટે અત્યાર સુધી રસ્તાઓ બંધ છે. વિરોધ કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ રસ્તાઓ અવરોધિત ન કરવા જોઈએ.
નોંધનીય છે કે હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતો ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા ઘણા મહિનાઓથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.