New Delhi News : દેશમાં હવાઈ મુસાફરી દરમિયાન ટિકિટના ભાડામાં (Air Fare)થતો અચાનક અને ભારે વધારો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. આ મુદ્દે થયેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે (Supreme Court)કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માત્ર ખાતરીઓ પૂરતી નથી, પરંતુ નવા નિયમોની સંપૂર્ણ વિગતો બે અઠવાડિયામાં કોર્ટ સમક્ષ રજૂ કરવી પડશે.
આ મામલો જાહેર હિતની અરજીના આધારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)સમક્ષ આવ્યો હતો, જેમાં એરલાઇન્સ દ્વારા અપનાવવામાં આવતી ડાયનેમિક પ્રાઇસિંગ પદ્ધતિ, વધારાના શુલ્ક અને મુસાફરોના અધિકારો અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
શું છે અરજીમાં મુખ્ય માંગણીઓ?

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે કેટલીક ખાનગી એરલાઇન્સ ડાયનેમિક પ્રાઇસિંગના નામે મુસાફરો પાસેથી અતિશય ભાડું (Air Fare) વસૂલી રહી છે. આ સ્થિતિમાં પારદર્શિતા અને નિયમન જરૂરી હોવાનું જણાવાયું છે.
અરજીમાં કરવામાં આવેલી મુખ્ય માંગણીઓમાં ડાયનેમિક પ્રાઇસિંગ પર નિયંત્રણ, ટિકિટના ભાવમાં અચાનક વધારાને રોકવા માટે સ્પષ્ટ નિયમો, સીટ પસંદગી, સામાન અને પ્રાથમિકતા જેવી સેવાઓના વધારાના ચાર્જમાં પારદર્શિતા, મુસાફરોની ફરિયાદો માટે અસરકારક વ્યવસ્થા અને સ્વતંત્ર એવિએશન ટેરિફ તથા ગ્રાહક સુરક્ષા સંસ્થા રચવાનો સમાવેશ થાય છે. ઉપરાંત, ડોમેસ્ટિક ફ્લાઇટમાં ઇકોનોમી ક્લાસ માટે 25 કિલોગ્રામ મફત ચેક-ઇન બેગેજ ફરી શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારને પૂછ્યું કે ભારતીય વિમાન અધિનિયમ, 2024 હેઠળ તૈયાર કરવામાં આવતા નિયમો ક્યારે અમલમાં આવશે.
કેન્દ્ર તરફથી કોર્ટને જણાવાયું કે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, હાલમાં તેનું ભાષાંતર ચાલી રહ્યું છે અને ત્યારબાદ તેને સંસદ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
આ જવાબ બાદ કોર્ટે કેન્દ્રને બે અઠવાડિયામાં નિયમોની સંપૂર્ણ વિગતો સીલબંધ કવરમાં રજૂ કરવાનો આદેશ આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે નિયમો સંસદમાં રજૂ થયા હોય કે ન થયા હોય, તેની માહિતી કોર્ટ સમક્ષ મૂકવી જ પડશે.
ભારતીય વિમાન અધિનિયમ, 2024 શું છે?
ભારતીય વિમાન અધિનિયમ, 2024 (Indian Aviation Act 2024)દેશના ઉડ્ડયન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ કાયદો છે, જે 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યો છે. આ કાયદાએ લગભગ 90 વર્ષ જૂના વિમાન અધિનિયમ, 1934નું સ્થાન લીધું છે.
નવા કાયદાનો હેતુ આધુનિક ટેક્નોલોજી, સલામતીના આંતરરાષ્ટ્રીય ધોરણો અને મુસાફરોના હિતોને ધ્યાનમાં રાખીને ભારતના ઉડ્ડયન ક્ષેત્રને વધુ મજબૂત અને પારદર્શક બનાવવાનો છે.
હવે આગળ શું?
આ કેસની આગામી સુનાવણી 3 ઓગસ્ટે યોજાનાર છે. તે પહેલાં કેન્દ્ર સરકારને નવા નિયમોની વિગતો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે. જો નવા નિયમો અમલમાં આવે છે તો ભવિષ્યમાં એરલાઇન્સની ટિકિટ કિંમત નક્કી કરવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવી શકે છે અને મુસાફરોને મનસ્વી ભાડા સામે રાહત મળવાની શક્યતા વધી શકે છે.
