રાજ્યમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ 108ના કર્મચારીઓ છેલ્લાં થોડા સમયથી હડતાળ પર ઉતર્યા છે.રાજ્યના સુરત સહિત ચાર જીલ્લાના 108 સર્વિસના કર્મચારીઓની સ્ટ્રાઇક ચાલુ છે ત્યારે હવે સરકારે તેમની સામે કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું છે.સુરતમાં 108ના 21 જેટલા કર્મચારીઓ વિરુધ્ધ સરકારે આવશ્યક સર્વિસ ધારો એસેન્શીયલ સર્વિસ એન્ડ મેઇનટેન્સ એક્ટ એટલે કે એસ્મા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
કાયમી નોકરીથી લઇને પગાર વધારા જેવી વિવિધ માંગણીઓને લઇને સુરતના 30 જેટલા 108ના કર્મચારીઓ હાલ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યાં છે.છેલ્લાં ચાર દિવસથી કર્મચારીઓની હડતાળના કારણે સુરતની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ સેવાઓ ખોરવાઇ ગઇ છે જેના કારણે અનેક દર્દીઓ હેરાન થઇ રહ્યા છે.108 ઇમરજન્સી સર્વિસના કર્મચારીઓની સતત હડતાળના કારણે અઠવા પોલિસ સ્ટેશનમાં 21 જેટલા કમર્ચારીઓ વિરૂધ્ધ એસ્મા એક્ટ હેઠળ પોલિસ ફરિયાદ કરવામાં આવી છે.
આ અંગે એસીપી જે કે પંડ્યા કહે છે કે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ આવશ્યક હોવાથી તેના કર્મચારીઓ હડતાળ પાડી ના શકે.જે કર્મચારીઓ હડતાળ પાડી છે તેની સામે એસ્મા એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.