@ સંદિપ જેસડિયા – સાવલી
સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે આવેલી મહીસાગર નદીના પટમાં રેતી ખનન મુદ્દે ખાણ-ખનીજ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અગાઉ થયેલી કામગીરી બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા ભીનું સંકેલવાનો આક્ષેપ લગાવીને બરોડા ડેરીના ડિરેક્ટર દ્વારા ન્યાયિક કામગીરી નહિ કરાય તો આગામી 30મીએ પંચાયત ભવન ખાતે આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
સાવલી તાલુકાના પોઈચા કનોડા ગામે મહીસાગર નદીમાં વિવિધ ખનીજ માફિયાઓ દ્વારા ખનીજની બેફામ ચોરી થઈ રહી છે સંબંધિત વિભાગને વારંવાર ટેલિફોનિક તથા વિડિયો મોકલીને આજુબાજુના જાગૃત નાગરિકો જાણ કરે છે તેમ છતાંય જાડી ચામડી ના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ની મીલીભગત ના કારણે કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી તેવામાં બે દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડીને પાંચ જેટલા જેસીબી મશીન અને હિટાચી મશીન સીઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજરોજ ખાણ ખનીજ અધિકારી સાવલી પ્રાંત ઓફિસર સાવલી મામલતદાર તેમજ પોલીસ ટીમ સાથે નદીના પટમાં ગેરકાયદેસર ખનન નું નિરીક્ષણ કરવાનું ચાલુ કર્યું હતું આ વેળાએ પોઈચા કનોડા ગામ ના મહિલા સરપંચના પતિ તેમજ બરોડા ડેરીના ડિરેક્ટર રામ સિંહ વાઘેલા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને 2018માં મહીસાગર નદીના પટ માં આવેલ ખરાબામાં ૨૩,૩૩૩ મેટ્રિક ટન રેતી નો સંગ્રહ કરવાનું અને નદીના પટમાંથી પચાસ હજાર મેટ્રિક ટન રેતીનું વધારાનું કામ કરવાના પ્રકરણમાં 11 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો જેની શું કાર્યવાહી થઈ છે અને શું શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે તે બાબતે પૂછપરછ કરતા અધિકારીઓ અને સરપંચ પતિ વચ્ચે ભારે ચકમક ઝરી હતી અને અધિકારીઓ એક તરફી વલણ અને રાજકીય દબાણને વશ થઈને કાર્યવાહી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો ત્રણ દિવસ અગાઉ પાંચ હિટાચી મશીન ગેરકાયદેસર ખનન કરતા કબજે કરીને સીઝ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે સદર બાબત પોઇચા ગામ ના સરપંચ દ્વારા અધિકારીઓ સાથે ઉગ્ર રજૂઆત કરી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા પક્ષપાતી વલણ અપનાવતા હોવાનો આક્ષેપ કર્યો
જ્યારે બીજી બાજુ ખાણ ખનીજ ના અધિકારીઓ દ્વારા કોઇપણ જાતનો ગ્રામજનોને જવાબ આપ્યા વગર હાલ નદીના પટમાં સર્ચ ઓપરેશન કરી ને ગેર કાયદેસર ખનન ની માહિતી એકત્ર કરવામાં જોડાયા હતા આમ ખાણ ખનીજ વિભાગ રેડ ના પગલે તાલુકાના ખનીજ માફિયાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો જોકે તાલુકામાં ભારે મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થઈ રહી છે અને જાડી ચામડી ના ખનીજ અધિકારીઓ દ્વારા ભીનુ સંકેલી લેવાય છે તેના કારણે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તાલુકામાં રોજ સેકડો ટ્રેક્ટરો તેમજ વિના રોયલ્ટી ઓવરલોડ ટ્રકો બિન્દાસ પણે ખુલ્લેઆમ તાલુકાના માર્ગો પર ફરે છે તાલુકા ના પોઇચા,કનોડા, લહેરીપુરા,વિટોજ,દીપાપુરા,ગુતરડી છાલીએર લાંછન પુરા જેવા ગામોમાં ચોવીસ કલાક ગેર કાયદેસર રીતે રેતી ખનન થાયછે અને દરરોજ સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થાય છે પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી ન કરવામાં આવતા તાલુકા જનોમાં ભારે આક્રોશ ફેલાઇ ગયો છે અને સામાન્ય ખેડૂત પોતાના ખેતરમાં તળાવ કે ગટરમાંથી માટી ખોદીને ખેતર માં નાખતો હોય ત્યારે ખાણ ખનીજ વિભાગ ને ભારે સુરાતન ચડી જાય છે અને ગરીબ ખેડૂતના વાહનો જપ્ત કરીને મીર માર્યો હોય તેવો દેખાડો કરે છે ત્યારે દરરોજ ફરતા રેતીના ટ્રેક્ટરો તેમજ ડમ્પરો તેમજ તાલુકાની વિવિધ ફેક્ટરીઓમાં પુરાણ માટે ગેરકાયદેસર માટીનો વેપલો કરતા તત્વો સામે પણ કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે
અત્રે ઉલ્લેખનીય છે કે મહી નદીના પટમાં ગેર કાયદેસર રીતે ખનીજ માફીયાઓ બેફામ બનતા કામગીરી હાથ ધરાઇ છે તે બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો જ્યારે આ બાબતે બરોડા ડેરીના ડિરેક્ટર રામ સિંહ વાઘેલા અધિકારીઓ પર સીધો આક્ષેપ કરીને રાજકીય દબાણવશ કામગીરી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને વાસ્તવમાં ખનીજ ચોરી થતી વેળાએ તેઓ એ પોતે અધિકારીઓને ફોન કરીને તેમજ વિડિયો મોકલીને જાણ કરી છે અને સેંકડો વાર જાણકારી હોવા છતાંય ચકલું ય ફરક્યું નથી તેવો આક્ષેપ કર્યો હતો અને 2018માં થયેલ કામગીરીની વિગતો નહીં આપે તો અને તટસ્થ કામગીરી નહીં કરવામાં આવે તો આગામી 30મીએ ગ્રામ પંચાયત ભવન ખાતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી
તસવીરમાં સાવલીના પોઈચા કનોડા ખાતે મહી નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર ખનન મુદ્દે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધર્યું તે વેળા ની તસવીરમાં નજરે પડે છે.