અમદાવાદ.
20 જુલાઈ 2018.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ અંતે વરસાદથી અમીતરસ્યા એવા અમદાવાદમાં પણ આજ 20 જુલાઈના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ આગમન કર્યું હતું. ત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે એક બિલ્ડિંગ ધરાશાયી થયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં બે લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી છે.
અમદાવાદમાં ગત 19 જુલાઈની રાતથી જ 11 વાગ્યાથી જ ઝરમર વરસાદ ચાલ્યા બાદ આજ બપોરે ત્રણ વાગ્યાથી ભારે માત્રામાં વરસાદ ત્રાટક્યો હતો. ઘણા સમય બાદ અમદાવાદમાં વરસાદ પડવાના કારણે લોકોમાં આનંદની લાગણી પ્રસરી આવી હતી.
વરસાદ કારણે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જ્યારે વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે એએમસી ના પ્રિમોન્સુન પ્લાન પર પાણી ફરી વળ્યાં હતા. મ્યુનિશિપલ કોર્પોરેશનનાના કન્ટ્રોલ રુમ કાર્યરત થયા હતા. પરંતુ આપને જણાવી દઈએ કે ભારે વરસાદના કારણે એએમસી કન્ટ્રોલ રુમની એક ફોન લાઈન ઠપ્પ થઇ ગઈ હતી. એવામાં અમરાઈવાડી,નવરંગપુરા અને પાલડી જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના વેજલપુર, મકરબા, મણિનગર, બોપલ, સેટેલાઈટ, જોધપુર અને નારણપુરા સહિત પશ્ચિમ અને પૂર્વના તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
મળતી માહિતી મુજબ વરસાદના કારણે સિદી સૈયદની જાળી નજીક એક ઝાડ ધરાશાયી થઇ ગયું હતું. વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જયારે જીવરાજ પાર્કમાં ભયંકર વરસાદ ચાલુ છે. એવામાં જીવરાજ પાર્કમાં પાણી ભરાયા છે અને રસ્તા પર ભુવો પણ પડી ગયો છે. પરંતુ આ બધી બાબતો પરથી ધ્યાન હટાવતા વાત કરવામાં આવે તો લાંબા સમય બાદ અમદાવાદમાં વરસાદ આવતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી.