મંતવ્ય ન્યૂઝ@ રાજકોટ, ભાવિની વસાણી
રાજકોટના 50 વર્ષીય જિજ્ઞાશા કુલકર્ણી ગુજરાતના પ્રથમ મહિલા ઇન્ટરનેશનલ સાઉન્ડ હીલર અને ટ્રેનર છે, તેઓ છેલ્લા સાત વર્ષથી સાઉન્ડ હીલિંગ થેરાપી પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ યોગ થેરપિસ્ટ અને રેકી માસ્ટર પણ છે. સાઉન્ડ હીલિંગ દ્વારા તેમણે ઘણાં લોકોને શારીરિક અને માનસિક તકલીફો માંથી મુક્તિ અપાવી છે. ઘણા રોગોની સારવાર કરવામાં પણ તેમને સફળતા પ્રાપ્ત થઈ છે. હવે તેઓને વધારે એક બીમારીની સારવારમાં સફળતા પ્રાપ્ત થઇ છે. તેમણે 84 વર્ષના વૃદ્ધ તેમજ 28 વર્ષીય મહિલા કોરોના દર્દીઓને ચમત્કારિક રીતે ઓનલાઇન સાઉન્ડ હીલિંગ થેરાપી દ્વારા ભયમુક્ત બનાવ્યા તેમજ સાથે કેટલાક ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર કરી અને અદ્ભુત પરિણામ પ્રાપ્ત કર્યા છે.
સાઉન્ડ હીલિંગ દ્વારા મજબૂતી મેળવી અને કોરોનાને હરાવ્યો : ભાનુભાઈ શુક્લા
84 વર્ષના ભાનુભાઈ શુકલાને કોરોના સંક્રમણ થયું ત્યારે તેઓને રાત્રે ઊંઘ અપૂરતી થતી હતી, શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. તેમજ ફેફસામાં શ્વાસ સંપૂર્ણ ગતિમાં લઈ શકાતો ન હતો. સાઉન્ડ હીલિંગ થેરાપી દ્વારા આ તમામ સમસ્યા દૂર થઈ છે. ભાનુભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે મને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થઈ રહી હતી પરંતુ ઘરે રહીને સાઉન્ડ હીલિંગ થેરાપી લીધી અને તેના દ્વારા બે દિવસમાં જ ઘણો ફર્ક મહેસુસ થયો હતો. શરીરમાં મને ખૂબ જ અશક્તિ લાગતી હતી તેમાં સારું પરિણામ જોવા મળ્યું હતું. તેની સાથે સાથે જીજ્ઞાશા બેન કુલકર્ણીના માર્ગદર્શન હેઠળ ઘરે પ્રાણાયામ અને તડકામાં બેસવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત ડોક્ટર પાસે આયુર્વેદિક દવાઓ પણ લીધી હતી. પરંતુ જે પણ દુઃખાવો હતો તેમાં સાઉન્ડ હીલિંગ દ્વારા ઘણો લાભ થયો હતો. અને હું જલદીથી સાજો થયો તેમજ મારી ઉંમર અને અવસ્થા મને કોરોનાથી હરાવવામાં નિયમિત ન બની, પરંતુ મજબૂત માનસિક અવસ્થા દ્વારા મેં કોરોનાને હરાવ્યો.
સાઉન્ડ હીલિંગથી તાણમુક્ત બની અને સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો : જલ્પા વસાવડા
રાજકોટની 28 વર્ષીય મહિલા જલ્પા વસાવડા જણાવે છે કે ગર્ભાવસ્થામાં છઠ્ઠા મહિને મને કોરોના સંક્રમણ થયું હતું.આ વખતે મારે અનોખી તાણનો સામનો કરવો પડ્યો હતો મને સતત ડર લાગતો હતો કે બાળકને કોરોના થઇ જશે તો… તેમજ આ સમયમાં મારે ખૂબ જ અસહાય અનુભૂતિ થતી હતી. ડોક્ટર મિલન ભટ્ટના કહેવાથી એક વખત ઓનલાઇન સાઉન્ડ હીલિંગ લીધું ત્યારે મને ઘસઘસાટ ઊંઘ આવી હતી અને તાણમાંથી મુક્તિ મળી હતી. ત્યારબાદ ડોક્ટર જિજ્ઞાશા કુલકર્ણીએ મારા ઘરે આવી અને મારી સારવાર કરી હતી જેથી મને અને મારા બાળકને તકલીફ ન થાય. સાઉન્ડ હીલિંગના રૂબરૂ સેશન દ્વારા મને ખૂબ જ ફાયદો થયો 1 મહિના પહેલા શરીર અને મનની સ્વસ્થતા સાથે લક્ષ્મી રુપી દીકરીને જન્મ આપ્યો જે ખૂબ જ સ્વસ્થ છે.
પડકારોનો સામનો કરવા માટે દર્દીઓ સક્ષમ બને છે: જીગ્નેશા કુલકર્ણી
સાઉન્ડ હીલિંગ એટલે શું ?
જિજ્ઞાશા કુલકર્ણી જણાવે છે કે “સાઉન્ડ હીલિંગ એટલે ધ્વનિ તરંગો દ્વારા થતી સારવાર. જેમાં તિબેટીયન સિંગિંગના જુદીજુદી ફ્રીક્વન્સીના બાઉલનો ઉપયોગ કરવામાં આવે છે. જે શરીરના સાત ચક્રો પર અલગ-અલગ તરંગો સાથે કામ કરે છે. પરંતુ બધા જ તરંગો સાથે મળીને એક અદ્ભુત સંગીત ઉત્પન્ન કરે છે. જેના વડે મનને ચિર શાંતિનો અનુભવ થાય છે. જેના કારણે મન બીટા માંથી આલ્ફા સ્ટેટ તરફ પ્રયાણ કરે છે. એટલે કે નકારાત્મકતા દૂર થાય છે અને ઉચ્ચ હકારાત્મક અનુભૂતિ થાય છે.”
વિજ્ઞાન ઉપરાંત પૌરાણિક દ્રષ્ટિકોણ
બિગ બેંગ થિયરી દ્વારા વિજ્ઞાને પણ સ્વીકાર કર્યો છે કે “નાદબ્રહ્મ”ની સમગ્ર વિશ્વના સર્જન પર મોટી અસર છે. જ્યારે પૌરાણિક દ્રષ્ટિકોણથી આપણે સૌ એ બાબતનો સ્વીકાર કરીએ છીએ કે કોઈપણ પ્રકારના સર્જનનો આધારે નાદ છે.નાદ દ્વારા અસ્વસ્થ પરિસ્થિતિમાંથી સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. એટલે જ દરેક ધર્મમાં સીધી કે આડકતરી રીતે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પછી તે મંત્ર હોય કે મંદિરમાં ઘંટ હોય શુદ્ધ નાદ દ્વારા મનને શાંતિ પ્રાપ્ત થાય છે. બૌદ્ધિ મંદિરોમાં પણ મોટો ઘંટ રાખવામાં આવે છે તેના પાછળ પણ વિજ્ઞાન તેમજ પુરાણ બંને કામ કરે છે. હવાના ઘર્ષણથી ઉત્પન્ન થતા નાદ શરીરમાં ઉર્જા ચક્રને વધારે ઊર્જાવાન બનાવે છે.
બીમારી કે રોગ પર સાઉન્ડ હીલિંગ કઈ રીતે અસર કરે છે ?
છેલ્લા આઠ મહિનાથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણે એક બાબત સાંભળી છે કે કોરોનાવાયરસના શરીર પરના સંક્રમણથી બચવા માટે માનસિક રીતે મજબૂત બનાવવાની જરૂર છે. જિજ્ઞાશા કુલકર્ણી જણાવે છે કે કોવિડનો ફેલાવો થવા પાછળ એક કારણ લોકોની અંદર ઉભો થયેલો ભય પણ છે. કદી ન કલ્પેલી હોય તેવી પરિસ્થિતિ સામે સમગ્ર માનવજાત લડાઈ લડી રહી છે. ઘણા લોકોના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે ત્યારે ઘર કેમ ચલાવીશુ ? સહિતના આર્થિક પ્રશ્નોના કારણે માનસિક તાણ આવે છે. ઘણા લોકોની ઉંઘ ઘટી છે ઘણાને ભૂખ લાગતી નથી કે સ્વભાવ ચીડિયો થઈ જાય છે. આ બધી નકારાત્મક લાગણીઓનો રૂપે શરીરમાંથી બહાર આવે છે. એક નાનો અમથો નકારાત્મક વિચાર પણ કેમિકલ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે જ્યારે કંઈ ના હોય અને એકાએક ધડાકો થાય તો કેવી રીતે રોમ રોમ પર અસર થાય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…