અમદાવાદ.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ વાયુસેનાના ખાસ વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું રાજ્યપાલ ઓ પી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકાર્ય હતા અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ પસંગે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર ગૌતમ શાહ, મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ, પ્રોટોકોલ સચિવ એલ.ચુઆંગો, રાજ્યના પોલીસ મહાનિદેશક પ્રમોદકુમાર ઝા, જિલ્લા કલેકટર અવંતિકાસિંઘ, શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ રાષ્ટ્રપતિને આવકાર્યા હતા.
બે દિવસની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહ અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાંહાજર રહેવાના છે. રવિવારે અમદવાદ પહોંચ્યા બાદ તેઓ ૪ વાગ્યે ગુજરાત યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. અ પ્રસંગે તેઓ દીક્ષાંત પ્રવચન આપશે તેમજ સાયન્સ, કોમર્સ, એન્જિનિયરિંગ, મેડિકલ, આર્ટસ, લો, એજ્યુકેશન સહિતની કુલ ૮ ફેકલ્ટીના ૫૬,૧૫૯ વિદ્યાર્થીઓને પદવી, પ્રમાણપત્રો એનાયત કરાશે અને વિવિધ વિદ્યાશાખાના સાત ફેકલ્ટીના ગોલ્ડ મેડલ પણ અપાશે. આ ઉપરાંત તેઓ સોમવારે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે.
