આસ્થા/ શ્રદ્ધાના નથી હોતા પુરાવા, ખ્રિસ્તિ ભક્તે બનાવ્યુ ગણપતિ બાપ્પાનું મંદિર

જ્યારે પણ સિદ્ધિ વિનાયક સામેથી પસાર થતા, તો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા. ધીમેધીમે તેઓ ભગવાન ગણેશના ભક્ત બની ગયા.

Dharma & Bhakti Uncategorized Navratri 2022

કહેવાય છે કે શ્રદ્ધાના કોઇ પુરાવા નથી હોતા અને તે કોઇ પણ નાત-જાતના વાડા સાથે બંધાયેલી પણ નથી હોતી. જેનું ઉમદા ઉદાહરણ છે, કર્ણાટકના શિરવા ગામના ગેબ્રિયલ નાઝરેથ. જે પોતે તો ખ્રિસ્તિ છે પરંતુ ભગવાન ગણપતિમાં અતુટ શ્રદ્ધા છે. જેના કારણે તેમણે પોતાના ગામ શિરવામાં રૂપિયા બે કરોડના ગણપતિ બાપ્પાનું મંદિર પણ બંધાવ્યુ છે.

ગેબ્રિયલ નાઝરેથ જ્યારે 13 વર્ષના હતા તો ખિસ્સામાં માત્ર 2 રુપિયા લઈને મુંબઇ આવ્યા હતા. તેમને ક્યાં જવુ અને શુ કરવુ તેની કશી જ ખબર નહોતી. ગેબ્રિયલે અનેક રાતો ફુટપાથ પર પસાર કરી અને પેટ ભરવા માટે અનેક પ્રકારના નાના-મોટા કામ પણ કર્યા. અંતે એક દિવસ તેમને મુંબઈમાં સિદ્ધિ વિનાયક મંદિરની પાસે સ્થિત એક મેટલ ડાઇની દુકાનમાં નોકરી મળી. ત્યારબાદ તેઓ જ્યારે પણ સિદ્ધિ વિનાયક સામેથી પસાર થતા, તો હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતા હતા. ધીમેધીમે તેઓ ભગવાન ગણેશના ભક્ત બની ગયા.

થોડા વર્ષો સુધી નોકરી કર્યા પછી તેમણે બ્લોક અને મોલ્ડ મેન્યુફેક્ચરિંગની ફેક્ટરી શરુ કરી. ગેબ્રિલ ભલે પોતે ખ્રિસ્તી છે પણ ભગવાન સિદ્ધિવિનાયક માટે અપાર શ્રદ્ધા છે. તેમનો અને ગણપતિ દાદાનો બોન્ડ 55 વર્ષનો છે. એક દાયકા પહેલાં ગેબ્રિલ પોતાને વતન આવ્યા ત્યારે તેમણે ભગવાન ગણેશનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું.

સમયની સાથે તેમણે વેપારમાં સારા પૈસા કમાયા. પરંતુ એક દિવસ તેઓએ નક્કી કર્યું કે હવે ઘણું થયું પોતે ગામ પરત જશે અને નિવૃત્ત જિંદગી પસાર કરશે. ગેબ્રિયલે પોતાનો કારોબાર વેચી દીધો અને તેઓ કર્ણાટકના ઉડ્ડુપીથી 14 કિલોમીટર દૂર સ્થિત પોતાના ગામ શિરવા આવી ગયા. તેમના માતા-પિતાનું પણ નિધન થઈ ચૂક્યું હતું અને તેમના તમામ ભાઈ-બહેન અલગ-અલગ સ્થળે વસી ગયા હતા. તેઓ આટલા વર્ષો દરમિયાન પોતાના પરિવાર સાથે સંપર્કમાં રહ્યા હતા. તેઓએ લગ્ન નથી કર્યા. તેમની પાસે શિરવામાં એક વારસાઈ જમીન હતી. એક દિવસ ગેબ્રિયલે તે જમીન પર પોતાના માતા-પિતાની સ્મૃતિમાં ભગવાન ગણેશનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો. ત્યારે ગેબ્રિલના મિત્ર પુંડાલિકા મરાઠેએ કહ્યું, ગણપતિ દાદાએ મારા મિત્રની દરેક ઈચ્છા પૂર્ણ કરી છે. તે ઉડુપીમાં મંદિર બનાવવા માગતો હતો. આ મંદિરમાં ભગવાનની 36 ઇંચની મૂર્તિ છે અને તેમાં સવાર-સાંજ પૂજા થાય છે. મંદિરમાં પૂજારીઓ માટે અલગથી રહેવાની વ્યવસ્થા પણ કરી છે.

આ મંદિરનું કામ તો છેલ્લા ઘણા સમયથી ચાલુ હતું પણ કોરોના મહામારીને લીધે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં મોડું થયું.  હવે મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો અને વાજતે-ગાજતે ગણપતિ બાપ્પાને મંદિરમાં બિરાજમાન કરાયા. ગેબ્રિલના મિત્રો જ આ મંદિરના દેખરેખનું કામ કરે છે. ગેબ્રિલ વર્ષોથી ગણપતિ દાદાનું મંદિર બનાવવા ઇચ્છતા હતા. તેમની ઈચ્છા પૂરી થઈ જતા તેઓ ઘણા ખુશ છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓની અવર-જવર પણ ચાલુ થઈ ગઈ છે.