તૃણમૂલ કોંગ્રેસ સોમવારે દિલ્હીમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ માર્ચ કરશે. ભારતીય જનતા પાર્ટી પણ કોલકાતામાં મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ વળતો વિરોધ કરશે. અહેવાલ મુજબ, વિરોધ પ્રદર્શન પહેલા TMC નેતાઓએ ચેતવણી આપી છે કે જો પોલીસ તેમના વિરોધ દરમિયાન કાર્યવાહી કરશે તો કોલકાતામાં ભાજપના વિરોધ પ્રદર્શન પર પણ આવી જ કાર્યવાહી કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળના સિંચાઈ મંત્રી પાર્થ ભૌમિકે ચેતવણી આપી હતી કે જો દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવશે તો બંગાળમાં ભાજપની રેલી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ભૌમિકે કોલકાતામાં કહ્યું, “જો ત્યાં પોલીસે લાઠીચાર્જ કર્યો તો અહીં પણ લાઠીચાર્જ થશે.” તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીએ પણ આવી જ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો 2 અને 3 ઓક્ટોબરે યોજાનાર વિરોધ પ્રદર્શનમાં અમારા કોઈપણ કાર્યકર્તાને નિશાન બનાવવામાં આવશે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. અમે જાણીએ છીએ કે આવા હુમલાઓનો જવાબ કેવી રીતે આપવો.
પશ્ચિમ બંગાળનો શાસક પક્ષ રોજગાર ગેરંટી યોજના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ના બાકી ભંડોળને લઈને કેન્દ્ર સરકાર સામે વિરોધ કરશે અને 2 ઓક્ટોબરે રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તા પર ઉતરશે. આ સાથે જ ભાજપ ફંડના વપરાશમાં થયેલી ગેરરીતિઓને લઈને મમતા સરકાર સામે વિરોધ કરશે.નોંધનીય છે કે સોમવાર અને મંગળવારે યોજાનારી વિરોધ રેલીનું આયોજન કરતા પહેલા તૃણમૂલ કોંગ્રેસ ગાંધી જયંતિ પર તેના સાંસદો અને રાજ્ય મંત્રીઓ સાથે રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વિરોધ પ્રદર્શન માટે 4 હજારથી વધુ લોકો દિલ્હી આવશે. અગાઉ ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે વિરોધ રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી માટે તેની ટ્રેન અને ફ્લાઈટનું બુકિંગ જાણી જોઈને રદ કરવામાં આવ્યું હતું.