સિદ્ધપુરના ભીલવાસ ખાતે છેલ્લા 130 વર્ષથી ચાલી આવતી ભવાઇની પરંપરા આજે પણ ચાલુ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ધૂળેટીના તહેવારમાં સાત દિવસ અંબાજી માતાના ચોકમાં ભવાઇનો કાર્યક્રમ યોજાય છે. જેમાં અબાલ-વૃદ્ધ તેમજ પટાવાળાથી અધિકારી કક્ષાના વ્યક્તિઓ શ્રદ્ધાપૂર્વક ભાગ લે છે. ધૂળેટીના સમાપન પ્રસંગે રામ-રાવણનું યુદ્ધ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. ભવાઇનુ મુખ્ય આકર્ષણ એવા રામ-રાવણના યુધ્ધમાં સરકારી ઉચ્ચ અધિકારી રહેલા ભીલ સમાજના યુવાનો પાત્રો ભજવે છે.
આજના આધુનિક યુગમાં છેલ્લા કેટલાક સમયથી સંસ્કૃતિ મુજબની ભવાઇ કલા લુપ્ત થવા જઇ રહી છે. ટીવી, કમ્પ્યૂટરના યુગમાં લોકો ભવાઇને ઓછી પસંદ કરે છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરના ભીલવાસ આદિવાસી યુવક મંડળ દ્વારા ધૂળેટીના સાત દિવસ દરરોજ રાત્રે જુદાજુદા વિષયો ઉપર માતાજીના ચોકમાં ભવાઇ રમવામાં આવી હતી. જોકે આ પરંપરા ભીલ સમાજના પેઢી દર પેઢી સમયથી છેલ્લા 130 વર્ષથી ભવાઇનો કાર્યક્રમ યોજાય છે. જેમાં સ્ત્રી-પુરૂષના અદ્ભૂત પાત્રો કલા પીરસે છે.
આ ભવાઈમાં અધિકારીથી લઇને નાનાં પટાવાળા સુધીના વ્યક્તિઓ ભાગ લે છે. કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારી નાનજીભાઇ ભીલના કાનગોપી અને મહાકાળીનું પાત્ર તેમજ હાલ પાટણ સિટી સર્વે કચેરીના કનુભાઇ ભીલનું રાવણનું પાત્ર વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માતાજીનું કરવઠું હોવાથી ભારતમાં ક્યાંય પણ હોઇએ છતાં ધૂળેટીની માતાજીની ભવાઇમાં અચૂક હાજરી આપવી પડે છે.
ભીલ સમાજના લોકો આ સાત દિવસ માતાજીના પવિત્ર દિવસ હોવાથી ક્યાંય કોઇ વ્યસન કરતું નથી તેવા વ્યક્તિઓ માતાજીના ચોકમાં ફરકતાં નથી. જ્યારે ધૂળેટીના દિવસે લોકો ઘરના છાપરાં, ધાબા ઉપર ચડીને રામ-રાવણનું યુદ્ધ જોવા ઉમટયાં હતાં. ભીલવાસના યુવાનો શીસ્તબદ્ધ ભવાઇની રંગત માણે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી હતી.