ભાજપને પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ મતો મળે તે માટે વડાપ્રધાન અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં વર્ચ્યુઅલ હાજરી આપવા તૈયાર થયા..? નિષ્ણાતોના મતે પાર્ટી વીથ ડીફરન્સની વાત ભૂલાઈ ગઈ. દાવ યુપીમાં અને દ્રષ્ટી બંગાળમાં…!!
રાજકારણમાં સત્તા પ્રથમ ઉદ્દેશ હોય તે સ્વાભાવીક છે અને જીતએ સત્તાને દોરે છે, જીત માટે મત જરુરી છે અને મત મેળવવા માટે મતદારો અનિવાર્ય છે. આમા બીજી રીતે જેવામાં આવે તો રાજકારણને હંમેશા મતબેન્ક સાથે સંબંધ હોય છે. કોઈપણ પક્ષના નેતા ભલે ગમે તે કહેતા હોય, તેમના સમર્થકો તેને ગમે તેવા સારા ઈન્કલાબો આપીને બીરદાવતા હોય, પણ સત્તા માટે આપણા રાજકારણીઓ તમામને સલામ કરતા અચકાતા નથી. ચૂંટણી સમયે હાથ જોડી મત માગતા રાજકારણીઓ ચૂંટણી બાદ ગરજ સરી કે વૈદ્ય વેરી થયો કે, પછી ચૂંટણી પહેલા નમન કરનારા રાજકારણીઓ ચૂંટણી બાદ ‘આવ જો કહેતો અગર તો દૂરથી હાથ જોડનારા થઈ જતા હોય છે અને ત્યારે પેલી જૂની પૂરાણી નમન નમન મેં ફેર હૈ ની ઉક્તિ સાચી ઠેરવતા હોય છે.
….આવે એટલે સમાજ સાંભળે
કોઈપણ પ્રકારની ચૂંટણી આવે કે પછી કોઈપણ પ્રકારનો પગ નીચે રેલો આવે તેવું આંદોલન થાય ત્યારે રાજકારણીઓ એક યા બીજી રીતે જે તે સમાજને લાભદાયી નિર્ણયો લેતા થઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં તો નિર્ણય સરકાર લે અમલ તંત્રને કરવાનો થાય છે અને જાણે કે પોતે(રાજકીય પક્ષ કે નેતા) સમાજના એક યા બીજા વર્ગ પર ઉપકાર કરવા જેવો ઘાટ ઘડી કાઢે છે.
ચૂંટણી ટાણે ધાર્મિક સ્થળોની મુલાકાતની ફેશન ખીલે
ભૂતકાળમાં આપણે જોયેલું છે કે, અમસ્તા એટલે કે સામાન્ય સંજોગોમાં મંદિરથી દૂર રહેનારા અને મંદિરની વાત કરનારને સાંપ્રદાયિકતાનું લેબલ લગાડનારા રાજકારણીઓ ચૂંટણી ટાણે મંદિરની મુલાકાત લેતા અને ત્યાં આરતી – પૂજા – ભજન વિગેરે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા થઈ જાય છે. ૨૦૧૭ની ચૂંટણીમાં આપણે કોંગ્રેસના યુવરાજ કહેવાતા રાહુલ ગાંધી ભજનમાં બેઠા હોય અને ગુજરાતના કેટલાક કોંગ્રેસી આગેવાનો મંજીરા વગાડતા હોય, તેવા પ્રશ્નો આપણે જોયા છે. ચૂંટણી પહેલા અંબાજી મંદિર કે સોમનાથ મંદિરે જઈ પૂજા અર્ચના કરતાં રાજકારણીઓને આપણે જોયા છે. ત્યાં તેવો સર્વજન હિતાયેની વાતો કરતાં હોય છે. પરંતુ આવા રાજકારણીઓના મનમાં ‘સ્વહિત’ની વાત રમતી હોય છે. પોતાને – કે પોતાના પક્ષને સત્તા મળે અગર તો પોતાની કે પોતાના પક્ષની સરકાર રચાય તેવો તેનો ઈરાદો હોય છે.
જ્ઞાતિવાદનાં વિરોધી જ્ઞાતિના ગણિત પ્રમાણે ટિકીટો ફાળવે
દાખતો આપતા કહેવામાં આવે તો, કચ્છની મુલાકાતે જનારા રાજકારણીઓ પછી ભલે ગમે તે પક્ષનો હોય પણ તે માતાના મઢ ખાતે માતા આશાપુરાના ચરણએ શીશ નમાવવા જાય છે અને મોટા ભાગના રાજકારણીઓ હાજીપીર ખાતે પણ જાય છે. રાજસ્થાન જનારા ઘણા રાજકારણીઓ અજમેર ખાતેની પ્રસિધ્ધ દરગાહ પર માથુ ટેકવવા જાય છે. કેટલાક રાજકારણીઓ તો અજમેર ખાતે દર વર્ષે નિયમિત ચાદર પણ મોકલતા હોય છે. રામ અને રહિમ બન્નેને સમય આવ્યે યાદ કરનારા આપણા રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે ગમે તેવા ખેલ કરતા અચકાતા નથી. અમે જ્ઞાતિવાદનો વિરોધ કરનારા આપણા રાજનેતાઓ જ્યારે ટિકિટની વહેંચણીની વાત આવે, ત્યારે જ્ઞાતિના ગણિત પ્રમાણે ટિકીટોની ફાળવણી કરતા હોય છે.
કેરળમાં ભાજપે ૧૧૯૭ પૈકી ૬૧૨ જેટલા લઘુમતી સમાજના ઉમેદવારોને ટિકિટ આપી
કેરળમાં સ્થાનિક ચૂંટણીઓ જીતવા ભાજપે ૧૧૯૭ પૈકી ૬૧૨ જેટલા લઘુમતી સમાજના ઉમેદવારોને ટિકિટ આપી હતી. જેમાં ખ્રીસ્તીઓ અને મુસ્લિમોનો સમાવેશ થાય છે. આનું કારણ એ હતું કે, કેરળમાં ખ્રીસ્તીઓ અને મુસ્લિમોની સંખ્યા વધારે છે. જો કે, સ્થાનિક ચૂંટણીમાં ભાજપને આ શસ્ત્રની અસર થઈ નથી. જો કે મતો થોડા ઘણા વધ્યા છે ખરા, તે હકિકત છે. કેરળમાં હાલ ડાબેરીઓનું શાસન છે અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસની આગેવાની હેઠળનો યુનાઈટેડ ડ્રેમોક્રેટીક ફ્રન્ટ યુડીએફ છે, જ્યારે ભાજપના માત્ર ૧ ધારાસભ્ય છે. સંસદની તમામ બેઠકો પણ આ બન્ને મોરચા વચ્ચે વહેંચાયેલી છે. હવે કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાની મતબેંક કઈ રીતે સુધારે છે અને એલડીએફ અને યુડીએફ પોતાની મતબેંક કઈ રીતે જાળવે છે તે જાણવું રસપ્રદ થઈ પડશે.
ખેડૂતો આંદોલનથી અલિપ્ત રહે તે માટે આવુ કરવામાં આવ્યું
ઉત્તર પ્રદેશના ખેડૂતોનો એક વર્ગ તો દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં જોડાયો છે. જો કે ૯૦ ટકા ખેડૂતો આ આંદોલનથી દૂર છે. જેથી તેઓ ખેડૂત આંદોલનથી દૂર જ રહે તે માટે કેન્દ્ર સરકારે શેરડીના ઉત્પાદકોને સબસીડી માટે રૂ. ૩૫૦૦ કરોડની ફાળવણી વાળુ પેકેજ જાહેર કર્યું છે. ખાંડના ઉત્પાદન અને નિકાસના હેતુ માટે જાહેર કરાયેલ પેકેજ ખેડૂતોને રીઝવવા માટે જ છે, જ્યારે ગુજરાત સરકારે પણ એક ભૂમાફિયાઓને ડામવા માટેના કાયદાનો અમલ શરૂ કરી ખેડૂતોની જમીનો અન્ય કોઈ હડપ ન કરી જાય તે જ લાઈન પર પ્રચાર કરવાનો હેતુ ગુજરાતના ખેડૂતો આંદોલનથી અલિપ્ત રહે તેજ છે. મધ્યપ્રદેશે પણ ૧૫ દિવસ પહેલા ખેડૂતોને રાહત આપતું પેકેજ જાહેર કર્યું હતું, તે પણ હકિકત છે. જેની કોઈ ના પાડી શકે તેમ નથી. અન્ય બે ત્રણ રાજ્યો કે જેમાં કોંગ્રેસના શાસનવાળી છત્તિશગઢ સરકાર પણ આવી જાય છે તેમણે આ ખેડૂતોને ખુશ કરવા પગલાં ભર્યા જ છે તે પણ હકિકત છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનાં PM મોદી બનશે મહેમાન
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં અલીગઢ યુનિવર્સિટી છે, તે ખ્યાતનામ છે. અને ૮૦ ટકા કરતાં વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓની હાજરીવાળી આ યુનિવર્સિટીએ પોતાના અસ્તિત્વની એક સદી પૂર્ણ કરી છે અને યુનિવર્સિએ આ અંગે શતાબ્દી કાર્યક્રમ ધામધૂમથી યોજવાનું આયોજન કર્યું છે. ગત માસમાં આ યુનિવર્સિટીએ પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો તેમાં શતાબ્દી મહોત્સવના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હશે તેવી જાહેરાત કરી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે અને હવે રાષ્ટ્રપતિના બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન રહેશે તેવી જાહેરાત થઈ છે.
વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હિન્દુવાદી છાપ ધરાવનારા નરેન્દ્ર મોદીએ આમંત્રણ સ્વીકારી પણ લીધું અને શુભેચ્છા સંદેશો મોકલવાને બદલે પોતે હાજર રહેશે તેમ કહી દેતા યુનિવર્સિટી સત્તાવાળાઓ ખુશ છે. પણ હિન્દુવાદી સંગઠનો નારાજ છે જો કે યુનિવર્સિટી સત્તાધીશઓ ખુશ છે બીજી ખુબીની વાત એ છે કે ૨૨મી ડિસેમ્બરે યોજાનારા આ કાર્યક્રમમાં મોદી વર્ચ્યુઅલ હાજરી આપવાના છે. અને કેન્દ્રના શિક્ષણ રાજ્યમંત્રી રમેશ પોખરીયાનેજે પણ હિન્દુવાદી નેતા હોવાની છાપ ધરાવે છે તે પણ હાજરી આપશે.
બંગાળની ચૂંટણીની અસરો…?
રાજકીય વિશ્લેષકો અને ખણખોદીયાઓ એવું શોધવાની કવાયત કરી રહ્યો છે કે, આનું શું કારણ ? જો કે અખબારી અહેવાલો મુજબ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે, આના મૂળમાં પશ્ચિમ બંગાળની ચૂંટણી છે અને પશ્ચિમ બંગાળની ચૂંટણીના કારણે જ મુસ્લિમ યુનિવર્સિટી નામધારી સંસ્થાના કાર્યક્રમમાં હિન્દુત્વની ઈમેજ ધરાવતા નરેન્દ્રભાઈ ભલે વર્ચ્યુઅલ તો વર્ચ્યુઅલ પણ હાજરી તો આપશે જ અને સંબોધન પણ કરશે જ.
બંગાળ – મુસ્લિમ મત અને રાજકીય દ્રષ્ટીકોણ
આ અંગે રાજકીય વિશ્લેષકો કહે છે કે પશ્ચિમ બંગાળમાં ૩૦ ટકા મતદારો મુસ્લિમ છે અને લગભગ ૧૧૦ કરતાં વધુ બેઠકો પર મુસ્લિમ મતો અત્યારે મોટાભાગના એટલે કે ૯૦ ટકા કરતાં વધુ મુસ્લિમ મતો ટીએમસી કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે વહેંચાયેલા છે. ભાજપે જાે પશ્ચિમ બંગાળમાં બહુમતી મેળવવી હોય તો ઓછામાં ઓછા ૫ થી ૭ ટકા મુસ્લિમ મતો મેળવવા અનિવાર્ય છે. આમ તો જેને ભાજપની બી ટીમ ગણવામાં આવે છે તે ઓવૈસીની પાર્ટી તો પશ્ચિમ બંગાળ ટીએમસી ડાબેરીઓ અને કોંગ્રેસના મતો બગાડવા મેદાનમાં ઉતરવાની જ છે. જ્યારે આ ત્રણ પક્ષો અલગ લડે તો પણ મુસ્લિમ મતોનું વિભાજન થવાનું જ છે. આ સંજાેોગમાં નિર્ણાયક મુસ્લિમ મતોવાળી ૧૧૦ પૈકી ઓછામાં ઓછી ૫૦ બેઠકો જીતી ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા પહોંચવા માગે છે. તેથી જ ભાજપે દાવ યુપીમાં લીધો છે, પરંતુ તેનું લક્ષ તો પશ્ચિમ બંગાળ જ છે. તે હકિકત છે.
ટુંકમાં PM મોદીના અને ભાજપના ઘણા ચાહકો આ બાબતથી નારાજ હશે, પણ ભાજપે જે રીતે એક રાજ્ય વધારવા જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તીને ટેકો આપવાનો દાવ ખેલ્યો હતો તેવો દાવ પશ્ચિમ બંગાળમાં મમતા દીદીને પછાડી સત્તા મેળવવા ભાજપ ખેલી રહ્યું છે. તે પણ હકિકત છે. ઘણા વિશ્લેષકો કહે છે તે પ્રમાણે ભાજપ જે રીતે ગુજરાતમાં કોંગ્રેસીઓને આવકારી હોદ્દાઓની લહાણી કરે છે, તે રીતે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતાઓને પણ આવકારે છે. અને ભાજપ મુસ્લિમ વિરોધી નથી તેવી છાપ છોડવાની પણ કોશીષ કરે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…