દેશમાં બગડતી વસ્તીની સમસ્યાને ધ્યાનમાં રાખીને બે બાળક નીતિ લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવવા અને દેશમાં વસ્તી નિયંત્રણ માટે પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.ભાજપના નેતા અને વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં દેશમાં માત્ર બે જ બાળકો પેદા કરવાનો નિયમ નક્કી કરવાની માંગ કરી છે. અશ્વિની ઉપાધ્યાયે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે દેશમાં ઉભી થયેલી સમસ્યાઓનું મુખ્ય કારણ વસ્તીનો વિસ્ફોટ છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે વધતી વસ્તીના કારણે કુદરતી સંસાધનો પર દબાણ આવી રહ્યું છે. ઉપાધ્યાયે આ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ટુ ચાઈલ્ડ પોલિસી લાગુ કરવાની માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
વસ્તી નિયંત્રણના પગલાં અંગે ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા છે. ગયા વખતે આવા જ એક કેસની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે ભારતમાં પરિવાર નિયોજનને જનતા પર થોપવું યોગ્ય નથી. તેની વિપરીત અસર જોવા મળી શકે છે. દેશની વસ્તીમાં ફેરફાર થઈ શકે છે.
કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે દેશમાં પરિવાર નિયોજન કાર્યક્રમ અંગે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. સરકાર ઈચ્છે છે કે લોકો પોતાની સમજણથી ફેમિલી પ્લાનિંગ કરે. તેના પર કોઈ દબાણ ન કરી શકાય.