સુરત,
સુરત ક્રાઈમ બ્રાંચના DCP રાહુલ પટેલે નિવેદન આપતાં કહ્યું હતું કે અલ્પેશ કથીરિયાએ કોર્ટના આદેશનો અનાદર કર્યો છે. કોર્ટે શહેર અને સમાજની સુલેહ અને શાંતિનું ધ્યાન રાખવાનું કહ્યું હતું અને શાંતિ ભંગ થાય એવું કૃત્ય નહીં કરવાની શરતે આપ્યા હતા જામીન આપ્યા હતાં.
છેલ્લા બે દિવસથી અલ્પેશ દ્વારા પોલીસ સાથે ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે, આથી સુરત પોલીસ અલ્પેશના જામીન રદ કરવા કોર્ટ સમક્ષ કરશે રજુઆત તેમ DCP રાહુલ પટેલે જણાવ્યું હતું.
રાજદ્રોહ કેસના અલ્પેશના જામીન રદ થઈ શકે છે.
ડીસીપી રાહુલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયા અને તેમના સાથીદારોએ જ્યાં પાટીદાર બહુમતી છે એવા વિસ્તારોમાં નાના નાના મુદ્દાઓને લઇને આ વિસ્તારોને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ સીધે સીધું પોલીસ સાથે ઘર્ષણ કરવા જેવી ઘટનાઓમાં કેટલાક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
જેમાં વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ફરજમાં રૂકાવટ કરવા બદલ કથીરિયા અને તેમના સાથીદારો ઉપર રાયોટીંગ અને ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.