Vadodara Petrol Sales Record 8 Lakh Litre: ગુજરાતમાં ઇંધણની અછત હોવાની અફવાએ વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાવ્યો છે. ખાસ કરીને વડોદરામાં સ્થિતિ એવી સર્જાઈ કે લોકો પેટ્રોલ પંપો પર તૂટી પડ્યા હતા. વડોદરામાં જે પેટ્રોલનો જથ્થો સામાન્ય રીતે 24 કલાક ચાલતો હોય છે, તે માત્ર 5 કલાકમાં જ વેચાઈ ગયો હતો.
Vadodara માં 5 કલાકમાં 8 લાખ લીટરનું વેચાણ!
વડોદરાના પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. શહેરમાં માત્ર 5 કલાકના ગાળામાં જ અંદાજે 8 લાખ લીટર પેટ્રોલનું રેકોર્ડ વેચાણ થઈ ગયું હતું. અચાનક થયેલા આ તોતિંગ વેચાણને કારણે શહેરના અનેક પંપો પર પેટ્રોલનો જથ્થો ખૂટી પડ્યો હતો અને પંપ ખાલી થઈ ગયા હતા. આ વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા મોડી રાત્રે જ ઇંધણનો બીજો જથ્થો મંગાવવાની ફરજ પડી હતી. જોકે, તંત્ર દ્વારા જણાવાયું છે કે નવો સ્ટોક આવતા જ બંધ થયેલા પંપો ફરી કાર્યરત કરવામાં આવશે.
રાજકોટમાં પણ અફરાતફરી, પણ જથ્થો સુરક્ષિત
રાજકોટમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જોકે, રાજકોટના તંત્ર અને ડીલરોએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલી ખોટી માહિતીને કારણે લોકો પંપો પર લાઈનોમાં ઊભા રહી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક અને વ્યવસ્થા ખોરવાઈ રહી છે.
પુરવઠા અધિકારીની કડક અપીલ
જિલ્લા પુરવઠા અધિકારીએ જનતાને શાંતિ જાળવવા વિનંતી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં કે જિલ્લામાં ઇંધણની કોઈ કાયમી અછત નથી, તેથી અફવાઓથી સાવધાન રહેવું. તેમણે પેનિક બાયિંગ ટાળવાની અપીલ કરતા કહ્યું કે લોકો બિનજરૂરી રીતે ઇંધણનો સંગ્રહ ન કરે, કારણ કે તેનાથી કૃત્રિમ અછત ઊભી થાય છે. હાલમાં તેલ કંપનીઓ દ્વારા નિયમિત રીતે પેટ્રોલ-ડીઝલ મોકલવામાં આવી રહ્યું હોવાથી સપ્લાય ચાલુ જ છે. આ સાથે જ તંત્ર દ્વારા લોકોને વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે ‘ઇંધણ ખૂટી જશે’ તેવી પાયાવિહોણી વાતો પર વિશ્વાસ ન કરવો, કારણ કે પંપ પર બિનજરૂરી ભીડ કરવાથી વ્યવસ્થા જાળવવી મુશ્કેલ બની રહી છે.
