PM Awas Yojana Arvalli: કલ્પના કરો કે ચારેબાજુ પાણીથી ઘેરાયેલો એક ટાપુ હોય અને ત્યાં રહેતા એક પરિવાર માટે પાકું ઘર બનાવવું હોય તો કેવી રીતે શક્ય બને? જ્યાં રસ્તા જ નથી ત્યાં ઈંટો અને સિમેન્ટ કેવી રીતે પહોંચે? પરંતુ, અરવલ્લીમાં અશક્યને પણ શક્ય કરી બતાવ્યું છે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અને મક્કમ વહીવટીતંત્રે.
ટાપુ પર દાયકાઓનો સંઘર્ષ અને ઘાસનું ઝૂંપડું
વાત્રક જળાશયની વચ્ચે આવેલા એક નાના ટાપુ પર અમરીબેન નાયકનો પરિવાર દાયકાઓથી ઘાસના ઝૂંપડામાં રહેતો હતો. રસ્તાના અભાવે ત્યાં બાંધકામની એક ઈંટ પણ પહોંચાડવી અશક્ય હતી. ભૌગોલિક વિષમતા એવી હતી કે પાકા મકાનનું સપનું માત્ર સપનું જ બની રહે તેમ હતું.

જ્યારે સરકારી યોજના હોડીમાં સવાર થઈને આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા અને ‘સર્વજન હિતાય’ની ભાવનાને કારણે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા અને તેમની ટીમે અમરીબેનની મદદ માટે એક અનોખો રસ્તો શોધી કાઢ્યો હતો. આ બાંધકામ મિશન અંતર્ગત હોડીઓ ભરીને સિમેન્ટ, રેતી, ઈંટો અને અન્ય જરૂરી સામગ્રી મધદરિયે ટાપુ સુધી પહોંચાડવામાં આવી હતી. તમામ ભૌગોલિક સીમાઓને ઓળંગીને તંત્રે ટાપુ પર જ અમરીબેનનું પાકું મકાન તૈયાર કરી આપીને સફળ અમલીકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

માત્ર PM Awas Yojana જ નહીં, સુવિધાઓનું આખું સરનામું
અમરીબેનનો પરિવાર હવે માત્ર પાકા મકાનમાં જ નથી રહેતો, પરંતુ સરકારની તમામ પાયાની સેવાઓ પણ તેમના આંગણા સુધી પહોંચી છે. આ પરિવારને બાળકો માટે નિયમિત રસીકરણની સુવિધા સાથે આયુષ્માન કાર્ડ અને અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા નિયમિત મુલાકાત લઈને પરિવારની સુખાકારીની સતત ખાતરી કરવામાં આવે છે અને તમામ સુવિધાઓની દેખરેખ રાખવામાં આવે છે.
અરવલ્લી જિલ્લાની સિદ્ધિ
અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 32,252પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. પરંતુ વાત્રક ડેમના ટાપુ પર બનેલું આ ઘર સરકારના અતૂટ સંકલ્પનું સૌથી મોટું ઉદાહરણ છે.
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાં પાયે ગેરરીતિ સામે આવી
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજના સંદર્ભે 52 હજારની લાંચ લેતા અરવલ્લીમાં ગ્રામસેવક ઝડપાયો
