ગુજરાતી ઈન્ડસ્ટ્રીનાં સુપર સ્ટાર કહેવાતા નરેશ કનોડિયા કોરોના સંક્રમિત છે. મળી રહેલી માહિતી અનુસાર નરેશ કનોડિયાની તબિયત લથડી છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમને અમદાવાદની યુ.એનમહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનો એક ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ઓક્સિજન માસ્ક લગાવીને સારવાર લેતા જોવા મળી રહ્યા છે. તેમની તબિયતને લઇને તેમના પુત્ર હિતુ કનોડિયાએ પણ ટ્વિટ કર્યુ હતુ અને તેમના માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો જન્મ તારીખ 20 ઓગસ્ટ, 1943ના રોજ મહેસાણા પાસે આવેલા કનોડા ગામમાં થયો, તેઓ સફળ એક્ટર સહિત કુશળ સંગીતકાર પણ છે. તેમણે વર્ષ 1970માં આવેલી ગુજરાતી ફિલ્મ વેલીને આવ્યા ફૂલથી એક્ટર તરીકેની શરૂઆત કરી. તે વર્ષે જ આવેલી ફિલ્મ જીગર અને અમીમાં પણ તેમણે નાનકડો રોલ ભજવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નરેશ કનોડિયા હાલમાં ગાંધીનગરમાં રહે છે. તેમણે 125 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમયે તેમનુ કોઈ ફિલ્મમાં હોવું એ હીટ હોવાની ગેરંટી હતી. આજે પણ તેમની પાસે એક મોટો ફેન બેઝ છે જેઓ ઇચ્છે છે કે તેમનો સુપરસ્ટાર જલ્દી જ કોરોનાને હરાવી પરત ફરશે.