ભારતીય જનતા પાર્ટીએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં અને નવા અધ્યક્ષ સીઆર પાટિલની રણનીતિની મદદથી જિલ્લા પંચાયતમાં દમદાર દેખાવો કર્યો છે. ભાજપે એવી તો જીત મેળવી છે કે વર્ષ 2010નું પુનરાવર્તન થઇ ગયું છે.

- ગઢ સમાન જિલ્લા પંચાયતની બેઠકો કોંગ્રેસે ગુમાવી
- સત્તાના સમીકરણમાં પાટિલનો પાવર
- નેતૃત્વની આંટીઘૂંટીમાં રૂપાણી રાજાશાહી
- કોંગ્રેસ સ્થાનિક મુદ્દાઓ મતદારો સુધી પહોંચાડવામાં નિષ્ફળ
મહાનગરપાલિકા બાદ કોંગ્રેસ હંમેશા કહેતી હતી કે જિલ્લાઓ અને ગામડામાં તો અમારો જ જય જયકાર. પરંતુ આ વખતે ભાજપે એવો તો ખેલ પાડ્યો કે જિલ્લામાં હવે કેસરિયો જ લહેરાયો છે. કોર્પોરેશન ગુમાવ્યા બાદ કોંગ્રેસને લાગતું હતું કે ગામડાનો મતદાર કોંગ્રેસને વફાદાર રહેશે. કારણ કે ગત ચૂંટણીમાં કોંગ્રેસે 22 જિલ્લા પંચાયત બેઠકો પર બાજી મારી હતી જ્યારે ભાજપના ફાળે માત્ર 7 બેઠકો જ આવી હતી. જોકે આ વખતના પરિણામે કોંગ્રેસની આંતરિક લડાઇ અને સ્થાનિક મુદ્દાઓ મતદારો સુધી પહોંચાડવાની નિષ્ફળતા ફરીથી છતી કરી છે.

- ભાજપનો શહેરો બાદ ગામડામાં પણ દબદબો
- ખેડૂત આંદોલનનો ફાયદો પણ ન ઉઠાવી શકી કોંગ્રેસ
સમગ્ર દેશમાં ખેડૂત આંદોલનની આગ એવી તે પ્રસરી કે પંજાબમાં ભાજપ દાજ્યું હતું. જોકે આજના પરિણામો કોંગ્રેસને દઝાડી રહ્યા છે. 2010 અને 2015ના પરિણામો પર જો એક નજર કરીએ તો 2015માં પાટીદાર આંદોલનને કારણે જિલ્લા પંચાયતોમાં ભાજપનો રકાસ થયો હતો. વર્ષ 2015માં જિલ્લા પંચાયતની 31 બેઠકોમાંથી કોંગ્રેસે 22 બેઠકો પર અને ભાજપે 7 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે બે બેઠકો ટાઇ થઇ હતી. તો બીજીતરફ ભાજપ ફરી 2010નું પુનરાવર્તન તરફ આગળ ધપી રહ્યો છે. 2010માં ભાજપ 30 જિલ્લા પંચાયત જીત્યો હતો. જ્યારે એક અન્યને મળી હતી. તો કોંગ્રેસના ફાળે એકપણ બેઠક આવી ન હતી.

- વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો
- ફરી બેઠા થવામાં કોંગ્રેસે કરવું પડશે મનોમંથન
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા રૂપાણી સરકારની અગ્નિપરીક્ષા હતી અને તેમાં તેઓ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટિલ સંપૂર્ણ પાસ થયા છે તો કોંગ્રેસે ફરીથી બેઠા થવા માટે મોટાપાયે મનોમંથન કરવું પડશે.
