UP Election 2027 MLA Survey: 2027માં ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને હજુ સમય છે, પરંતુ અત્યારથી જ રાજકીય માહોલ ગરમાવા લાગ્યો છે. આ દરમિયાન એક સર્વેએ ત્રણેય રાજ્યોમાં સરકાર, મુખ્યમંત્રી અને સ્થાનિક વિધાયકોને લઈને જનતાના મૂડની કેટલીક મહત્વપૂર્ણ તસવીર સામે મૂકી છે.
UPમાં વિધાયકો સામે નારાજગી
સર્વેના આંકડા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં(UP) સ્થાનિક વિધાયકો સામે લોકોની નારાજગી સૌથી વધુ જોવા મળી છે. સર્વેમાં સામેલ લગભગ 49 ટકા લોકોએ પોતાના વિસ્તારના વર્તમાન ધારાસભ્યના કામથી અસંતોષ વ્યક્ત કર્યો છે. જ્યારે આશરે 27.9 ટકા લોકો જ પોતાના ધારાસભ્યના કામથી સંતુષ્ટ જોવા મળ્યા. જોકે, રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીને લઈને ચિત્ર થોડું અલગ છે. લગભગ 41.8 ટકા લોકો યોગી આદિત્યનાથ સરકારના કામકાજથી સંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. મુખ્યમંત્રીની પસંદગી અંગે 43.3 ટકા લોકોએ યોગી આદિત્યનાથનું નામ પસંદ કર્યું, જ્યારે 35.5 ટકા લોકોનો ઝુકાવ અખિલેશ યાદવ તરફ રહ્યો.

ભાજપ અને સપા વચ્ચે કાંટાની ટક્કર
ચૂંટણીમાં મત આપવાની પસંદગી અંગેના આંકડામાં ભાજપના નેતૃત્વવાળા NDAને આશરે 41.8 ટકા અને સપા ગઠબંધનને 38.7 ટકા વોટશેર મળવાનો અંદાજ વ્યક્ત થયો છે. ઉંમર પ્રમાણે પણ મતદારોની પસંદગીમાં તફાવત જોવા મળે છે. મોટા ઉંમરના મતદારોમાં યોગી અને ભાજપ માટે વધુ સમર્થન જોવા મળે છે, જ્યારે યુવા મતદારોમાં અખિલેશ યાદવ(UP) તરફ ઝુકાવ વધુ હોવાનું જણાવાયું છે.
પંજાબમાં પણ ધારાસભ્યો સામે અસંતોષ
પંજાબમાં પણ સ્થાનિક નેતાઓ માટે સ્થિતિ સંપૂર્ણપણે અનુકૂળ નથી. અહીં 45.3 ટકા લોકો પોતાના વિસ્તારના ધારાસભ્યોથી અસંતુષ્ટ હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. જોકે, ભગવંત માન સરકારના કામકાજથી લગભગ 40 ટકા લોકો સંતુષ્ટ છે. મુખ્યમંત્રી પદ માટે ભગવંત માનને 40.1 ટકા લોકોની પસંદગી મળી છે, જ્યારે ચરણજીત સિંહ ચન્ની 20.6 ટકા સાથે બીજા ક્રમે છે.
પંજાબમાં AAP આગળ
ચૂંટણીના વોટશેરના અંદાજ પ્રમાણે આમ આદમી પાર્ટી 34 ટકા સાથે આગળ છે. કોંગ્રેસને 30.2 ટકા, ભાજપને 12.2 ટકા અને શિરોમણી અકાલી દળને 11.3 ટકા સમર્થન મળ્યું છે. આ આંકડા એ પણ સૂચવે છે કે સ્થાનિક ધારાસભ્યો પ્રત્યેની નારાજગી આગામી ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી અને ટિકિટ વહેંચણીને અસર કરી શકે છે. હવે 2027ની ચૂંટણી નજીક આવશે તેમ આ જનમત કેટલો બદલાય છે, તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:યુપી ચૂંટણી પહેલાં બસપામાં ભૂકંપ, બસપા સુપ્રીમો માયાવતીએ 2 દિગ્ગજ નેતાઓની પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી
આ પણ વાંચો:યુપી ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી શરૂ, 14 ડિસેમ્બરે થશે 17માં અધ્યક્ષની જાહેરાત
આ પણ વાંચો:યુપી પેટાચૂંટણી વચ્ચે આવતીકાલે રાહુલ ગાંધીની રાયબરેલીની મુલાકાત, જિલ્લા સંકલન બેઠકમાં હાજરી આપશે
