LIFESTYLE: ચોમાસાની ઋતુમાં ખાણી-પીણીની વસ્તુઓ જલદી બગડી જાય છે. વરસાદી દિવસોમાં અથાણાંની બરણીમાં પણ સફેદ ફૂગ વળવા લાગે છે. આવા સંજોગોમાં ઘણી મહિલાઓ એવી અસમંજસમાં પડી જાય છે કે, આવી ફૂગવાળા અથાણાંનું આખરે કરવું શું? ઘણી લગન અને મહેનતથી બનાવેલા અથાણાંને ન તો ફેંકવાનું મન થાય છે કે, ન તો ખાવાનું!!
આવા સંજોગોમાં જો તમને અથાણાંની બરણીમાં જરીક જેટલી પણ સફેદ ફૂગ દેખાય તો, અહીં દર્શાવેલી ટિપ્સને ફૉલો કરો. આ ઉપાય કરવાથી તમે આસાનીથી ફૂગ હટાવી શકશો. કેવળ એટલું જ નહિં પરંતુ, સમગ્ર અથાણાને બગડી જતાં પણ અટકાવી શકશો.

સફેદ ફૂગ દેખાતા વેંત કરો આ કામ
જો અથાણાની બરણીમાં તમને જરીક જેટલી પણ સફેદ ફૂગ દેખાય, તો સૌપ્રથમ અથાણાનો એ ફૂગ લાગેલો પૂરેપૂરો ભાગ સાવધાનીપૂર્વક, ચમચી વડે બહાર કાઢીને ફેંકી દો. અહિં તમારે એ ધ્યાનમાં રાખવું જરુરી છે કે, ફૂગવાળા અથાણાંનો જરાક સરખો ભાગ પણ બરણીમાં ન રહી જાય, નહિં તો બાકીનું અથાણું પણ ખરાબ થવાની પૂરી શક્યતા છે.

અથાણામાં સરસિયાનું તેલ નાખો
ફરીવાર ફૂગ ન વળે એ માટે, અથાણું બરાબર ડૂબે તેટલું સરસિયાનું તેલ રેડવું. કારણ કે અથાણું તેલમાં ડૂબાડૂબ ના હોય ત્યારે જ તે ખરાબ થાય છે. અથાણામાં ઉપર સુધી તેલ ન હોય ત્યારે તે ભાગ ભેજના સંપર્કમાં આવે છે, જેથી એમાં ફૂગ વળે છે. આવું ન થાય એ માટે, અથાણામાં તમે તેલની સાથે સિરકો(વિનેગર) પણ ભેળવી શકો છો.

તડકે તપાવીને કાચની બરણીમાં રાખો
ચોમાસામાં અથાણાં બગડી ન જાય એ માટે એમને તડકે તપાવવા. આમ કરવાથી ભેજ ઓછો થશે અને બૅકટેરિયા મરી જશે. વળી, જો તમે અથાણાંને પ્લાસ્ટિકના ડબામાં ભર્યાં હોય તો, સત્વરે એમાંથી કાઢી લેવા અને તડકે તપાવેલી ચિનાઇ માટીની અથવા તો કાચની બરણીમાં ભરી લેવા.
આ પણ વાંચો:આ વખતે શ્રાવણ ઉપવાસમાં ફલહારી સાબુદાણા ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો, તમને પુષ્કળ ઉર્જા મળશે.
આ પણ વાંચો:શું તમે પણ ચોમાસામાં કોબીજ અને ફુલાવર ખાઓ છો? આ 5 ટિપ્સ અંદર છુપાયેલા જંતુઓ તરત જ દૂર કરશે
