રાજકોટ
ગોંડલના ઉમરાળા રોડ પર આવેલ મગફળીના ગોડાઉનમાં મંગળવારે લાગેલ આગના પડઘા હજી પણ પડી રહ્યા છે. આ ઘટનાના ૪૮ કલાક બાદ સમગ્ર તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી, ત્યારે આ મામલે સીઆઈડી ક્રાઈમે એસઆઈટીની રચના કરી તપાસ હાથ ધરી છે. જેમાં ૭ અધિકારીઓની નિમણૂંક કરાઈ છે. આ ટીમનુ સુપરવીઝન ડીઆઈજી દીપાંકર ત્રિવદીને સોંપવામાં આવ્યુ છે.
ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ આજે પત્રકાર પરિષદ ભરીને જણાવ્યું કે આગ લાગવાનું કારણ શોધવા તપાસ ચાલી રહી છે.ગોડાઉનના માલિક સાથે પુછપરછ ચાલી રહી છે.
આ ટીમ દ્વારા આજે વહેલી સવારે આગ લાગવાની ઘટનાનુ રીકન્ટ્રક્શન કરવામાં આવ્યુ હતું. એસઆઈટીમાં ફરજ બજાવી રહેલ એક સભ્યએ નામ ન આપવાની શરતે દાવો કર્યો હતો કે, પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે આગ ગોડાઉનની અંદરથી નહોતી લાગી પરંતુ બહારથી કોઈએ લગાવી હતી. જેના કારણે મગફળી કૌભાંડના પુરાવાનો નાશ કરવા માટે જાણી જાઈને આ આગ લગાવાઈ હોવાના આક્ષેપોને સમર્થન મળી રહ્યુ છે.
આજે આગની સમગ્ર ઘટનાનુ રીકન્ટ્રક્શન કરવામાં આવ્યુ હતું, જેમાં સામે આવ્યુ છે કે જે પ્રકારે આગ લાગી તે રીતે અંદરથી આગ લાગવી શક્ય નથી. બહારથી જ કોઈ વ્યક્તિ આ આગ લગાડી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. જો કે આશ્ચર્યજનક રીતે હજી સુધી આ મામલે કોઈ જ ફરીયાદ દાખલ થઈ નથી. અત્યારે આગ લગાડનાર વ્યક્તિઓ કેટલા હતા તે માહિતી મેળવવા ગોડાઉનની બહાર લગાવાયેલ સીસીટીવી ફુટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યુ છે કે, આ ગોડાઉનમાં વીજ કનેક્શન નહતુ, જેના કારણે શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાની કોઈ શક્યતા ઉભી થતી નથી. તેમજ આગ લાગી શકે તેવો કોઈ પણ જ્વલનશીલ પદાર્થ ગોડાઉનમાં નહોતો. જેનાથી સ્પષ્ટ થાય છે કે આ આગ બહારથી જ કોઈએ લગાડી છે. જો કે આ અંગે હજી સુધી સીટ દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી જાહેર કરાઈ નથી. સીટે પોતાના સત્તાવાર નિવેદનમાં એફએસએલ તપાસ બાદ આગનુ સાચુ કારણ સામે આવશે તેમ જણાવ્યુ છે.
આ સમગ્ર મામલે ડીઆઈજી દીપાંકર ત્રિવેદીએ પ્રેસ કોન્ફેંસ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે અમે પુરાવાના આધારે સમગ્ર તપાસ આગળ વધારી રહ્યા છીએ. આ મામલે ઊંડાણ તપાસ માટે SITની રચના કરી છે.મગફળીના ગોડાઉનમાંથી હજુ પણ ધુમાડો નીકળી રહ્યો છે. જેથી ઘટના સ્થળે રહી ને તપાસ કરવી શક્ય નથી. તેથી સમગ્ર મામલે વિચાર કરીને આગળ તપાસ કરીશું.