નવી દિલ્હી
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહેલ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક ડબલ કરવાના દાવાને ફગાવી દીધો છે. વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીએ જણાવ્યુ હતું કે એ શક્ય જ નથી કે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરી શકાય.
મનમોહનસિંહે જણાવ્યુ હતું કે, ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવા માટે ઓછામાં ઓછા ૧૨ ટકા કૃષિ વિકાસદરની જરુર પડે તે પણ નિયમિત. તેમજ અત્યારે દેશનો કૃષિ વિકાસદર ૧૨ ટકાનો અડધો પણ નથી. જેથી આ બાબત માત્ર દિવા સ્વપ્ન સમાન છે.
દિલ્હી ખાતે યોજાયેલ કોંગ્રેસની બેઠક બાદ પૂર્વ વડાપ્રધાને જણાવ્યુ હતું કે, સરકાર પોતાના વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. દેશમાં રાજકોષીય ખાદ્ય સતત વધી રહી છે. તેમણે જણાવ્યુ હતું કે, સરકારે પોતાનુ બજેટ માત્રને માત્ર ચુંટણીઓમાં રાજકીય ફાયદા માટે રજુ કર્યુ છે. પરંતુ બજેટના આંકડાઓમાં અનેક ગડબડો છે.
બજેટમાં રીફોર્મ શબ્દનો મોટાપાયે દુરુપયોગ થયો છે. દેશમાં કૃષિ ક્ષેત્ર અત્યારે સંકટનો સામનો કરી રહ્યુ છે. ખેડૂતોની આવક વધવાની તો દૂર રહી સતત ઘટી રહી છે. સરકાર ખેડૂતોને ટેકાના ભાવ, વીમાની રકમ વગેરે ચુકવવામાં નિષ્ફળ રહી છે.
તેમ છતાં ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક ડબલ કરવાનો નારો માત્રને માત્ર રાજકીય સ્ટંટ માટે લગાવવામાં આવી રહ્યો છે. આ નારાની વાસ્તવિક્તાનુ અસ્તિત્વ જ નથી. મહત્વનુ છે કે મોદી સરકાર લાંબા સમયથી ખેડૂતોની આવક ૨૦૨૨ સુધી બમણી કરવાની વાત રજુ કરી રહી છે. સામાન્ય બજેટમાં પણ નાણાં મંત્રીએ આ વાત રીપીટ કરી હતી.