National News : ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષોથી તણાવપૂર્ણ સંબંધો ચાલી રહ્યા છે. એક તરફ પાકિસ્તાને ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો હતો, તો બીજી તરફ ભારત આજે પણ પાકિસ્તાનને બાસમતી ચોખાની નિકાસ કરે છે. આ વચ્ચે હવે ભારત અને અમેરિકા વચ્ચે ચોખાને લઈને વેપાર તણાવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતમાંથી અમેરિકા આવતા ચોખા પર વધુ ટેરિફ લાદી શકાય છે. તેમણે ભારત પર અમેરિકન બજારમાં ચોખાનું ‘ડમ્પિંગ’ કરવાનો આરોપ મૂક્યો હતો. આ અગાઉ ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ ભારતમાંથી આવતા અનેક ઉત્પાદનો પર ટેરિફ વધારીને 50 ટકા કર્યો હતો, જેના કારણે કાપડ, રસાયણો તેમજ ઝીંગા જેવા ખાદ્ય ઉત્પાદનોની નિકાસ પર અસર પડી હતી.
ચોખાને લઈને આવેલા આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં ફરી તણાવ ઊભો થયો છે. જોકે, ભારત સરકારે અમેરિકાના ડમ્પિંગ સંબંધિત આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
ભારત સરકારનું કહેવું છે કે અમેરિકા માટે નિકાસ થતા ચોખા મોટાભાગે પ્રીમિયમ ગુણવત્તાવાળા બાસમતી ચોખા છે, જેની કિંમત સામાન્ય બિન-બાસમતી ચોખા કરતાં ઘણી વધારે હોય છે. આવી સ્થિતિમાં તેને ઓછા ભાવે વેચીને ડમ્પિંગ કરવાનું કોઈ કારણ જ નથી.
ભારતીય વેપાર સચિવ રાજેશ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમેરિકા દ્વારા હજુ સુધી આ મુદ્દે કોઈ ઔપચારિક તપાસ શરૂ કરવામાં આવી નથી અને ડમ્પિંગનો કોઈ પ્રાથમિક કેસ પણ બનતો નથી. તેમણે સમજાવ્યું કે ડમ્પિંગનો અર્થ થાય છે કોઈ ઉત્પાદનને તેની સામાન્ય બજાર કિંમત કરતાં ઓછી કિંમતે નિકાસ કરવું, જ્યારે ભારતીય બાસમતી ચોખા તેની સુગંધ, ગુણવત્તા અને વૈશ્વિક માંગને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતે વેચાય છે.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે બાસમતી ચોખાની નિકાસ સંપૂર્ણપણે ગુણવત્તા આધારિત અને બજાર ભાવ મુજબ થાય છે. તેથી અમેરિકાના ડમ્પિંગ સંબંધિત આરોપો તર્કવિહીન અને આધારવિહોણા છે.
આ પણ વાંચો: ભારતીય ચોખા પર ટેરિફની ટ્રમ્પની ચીમકી
આ પણ વાંચો: ભારત પર 50% ટેરિફ મુદ્દે ટ્રમ્પ સરકાર સામે અમેરિકી સાંસદોનો વિરોધ
આ પણ વાંચો: ટ્રમ્પ સાથે પીએમ મોદીએ ફોન પર વાત કરી, શું ભારત પરથી અમેરિકા ટેરિફ હટાવશે?

