Gir Somnath News:ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં પારિવારિક કલેશના કારણે એક દંપતીના જીવનનો દુ:ખદ અંત આવ્યો છે. તાંતીવેલા ગામના રહેવાસી વિનોદ ધોળીયાએ પોતાની પત્ની હીના ઉર્ફે ચંપાબેન ધોળીયાની છરીના અનેક ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખી છે.આ ઘટના ડારી ગામે આવેલી સિલાઈની દુકાને બની હતી, જ્યાં હીનાબેન છેલ્લા કેટલાક મહિનાથી પિયરે રિસામણે રહીને કામ કરતાં હતાં.
આ દંપતીના લગ્ન 2002માં થયા હતા અને તેમને બે પુત્રો છે એક 21 વર્ષીય અને બીજો 19 વર્ષીય જેઓ રાજકોટમાં (Rajkot) કામ કરે છે. લાંબા સમયથી ચાલી રહેલા ઘરેલુ વિવાદોમાં વિનોદ તેની પત્ની પર ચારિત્ર્યની શંકા કરતો હતો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું સામે આવ્યું છે.આ ત્રાસથી કંટાળીને હીના આશરે 5,8 મહિના પહેલાં ડારી ગામે પોતાના પિયરે રિસામણે આવી ગઈ હતી. જ્યાં તેને સિલાઈનું કામ શરૂ કર્યું હતું અને વિનોદ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તેમજ ભરણપોષણનો (Maintenance) કેસ પણ નોંધાવ્યો હતો.
આ બાબતે મનમાં રોષ રાખીને વિનોદ ગઈકાલે સવારે અચાનક ડારી ગામે પહોંચી ગયો હતો. વિનોદ સીધો હીના જ્યાં સિલાઈનું કામ કરતી હતી તે દુકાને જઈ અને તેને ધારદાર છરી વડે 7 થી 8 જેટલા ઘા ઝીંકીને હિનાની હત્યા કરી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી હીનાને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.હિનાની હત્યા બાદ વિનોદ પોતાની બાઇક અને હથિયાર ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો છે. આ ઘટનાથી આખા ગામમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો:ગીર સોમનાથ ઉના-અંજાર રોડ પર આધેડની હત્યા

