ચૂંટણીપંચને તમિલનાડુ કોર્ટની લપડાક બાદ લોકો પૂછે છે કે સત્તા માટે રાજકારણીઓ કેટલા લોકોનો ભોગ લેવા માંગે છે ?
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
તમિલનાડુ હાઇકોર્ટમાં તાજેતરની ચૂંટણીના મતદાન તેમજ પ્રચારના પગલે કોરોનાના વધેલા કેસ અને મૃત્યુ આંક અંગે થયેલી અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટની બેન્ચના ન્યાયમૂર્તિઓએ ચૂંટણી પંચને આડે હાથ લઈ એવી લપડાક લગાવી હતી કે જરૂર પડે હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ, સાથો સાથ પંચનો જવાબ માંગી એવી ચેતવણી પણ આપી છે કે યોગ્ય જવાબ નહિ મળે તો મતગણતરી થવા દેવાશે નહિ.
છેલ્લા થોડા સમયગાળામાં બંગાળ સહિતના રાજ્યોની ચૂંટણી બાબતમાં બંગાળ હાઇકોર્ટે પણ ચૂંટણી પંચને લપડાક લગાવતા અનેક વિધાનો કર્યા છે છતાંય ચૂંટણી પંચની કાર્યવાહી કે કાર્યપધ્ધતિ જરાય બદલાઈ નથી તેથી ચૂંટણી પંચની સ્વાયત્તતા કે તટસ્થતા સામે આંગળી ચીંધાય ત્યારે વિપક્ષને પંચ અને ઇ.વી.એમ પર દોષનો ટોપલો ઢોળવાની આદત પડી ગઈ હોવાનો આક્ષેપ મૂકાય છે. અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોની કોર્ટ દ્વારા એક થી વધુ વખત ખુરશીપ્રેમી રાજકારણીઓ પર આકરા વિધાનો કરવામાં આવ્યા છે તેમ છતાં જાડી ચામડીના રાજકારણીઓ પર તેની કોઈ અસર થતી નથી.
બંગાળમાં કોરોનાના વિસ્ફોટ અંગે જે અહેવાલ અને વિગતો બહાર આવી છે તે ચોંકાવનારી છે. અખબારોમાં જે અહેવાલો પ્રસિદ્ધ થયા તે પ્રમાણે ટેસ્ટ કરાવનાર બે પૈકી એક નાગરિક કોરોના પોઝિટિવ નીકળે છે. આ અહેવાલ સાચો હોય તો ત્યાં ચૂંટણીના ખેલમાં સ્થિતિ કેવી કથળી છે તેનો પુરાવો આપે છે. બીજા ચૂંટણીવાળા રાજ્યો કેરળ અને આસામમાં પણ ચૂંટણીના કારણે કેસો વધ્યા છે, જ્યારે પંજાબ અને ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી દરમિયાન કોવિડ ગાઈડ લાઈનના ધજાગરા ઉડ્યા તેના કારણે ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યા છે તેવું હવે નિષ્ણાતો પણ સ્વીકારતા થઇ ગયા છે.
મહારાષ્ટ્રમાં પણ વિવિધ કારણોસર કોવિડના નિયંત્રનોના ધજાગરા ઉડવાના બનાવોની પરંપરા સર્જાઈ તે બાબત પણ કોરોનાના કહેર માટે જવાબદાર છે તેવું મોટા ભાગના જાણકારો સ્વીકારતા થઈ ગયા છે.
રાજકારણીઓ વિવિધ રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહ્યા,તંત્ર વ્યવસ્થા જાળવણી કરવામાં ગોઠવાયેલું રહ્યું તેના કારણે આવી વિકટ સ્થિતિ ઉભી થવા પામી છે.
કોરોનાની બીજી લહેર આવી રહી હોવાની ચેતવણી નવેમ્બર માસમાં મળી હતી તેમ છતા કોઈ આગોતરા આયોજનના બદલે તંત્ર કેન્દ્ર,રાજ્ય તમામ અને તેમાંય ચૂંટણીવાળા રાજ્યોમાં ખુરશીના ખેલમાં વ્યસ્ત રહયા તેના કારણે હોસ્પિટલોમાં હાઉસફુલના પાટિયા ઝૂલે અને રેલવેની જેમ સ્મશાન કે અમુક સ્થળે કબ્રસ્તાનોમાં પણ ગિરદી થાય તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. આઝાદી બાદ ઘણી ચૂંટણીઓ યોજાઈ પરંતુ કોર્ટને ચૂંટણી પંચ અને સંબંધિત સરકારોને વારંવાર ટકોર કરવી પડે તેવું તો પ્રથમ વખત બન્યું છે.
કહેવાતા રાજપુરુષોએ ખુરસી માટે ફાંફા મારવાને બદલે સંભવિત મનાતી કોરોનાની બીજી લહેરની તૈયારી કરી હોત તો ઘણા લોકોનાં જીવ બચાવી શક્યા હોત. ટૂંકમાં રાજકારણીઓના ખુરશીના ખેલની સજા પ્રજાને ભોગવવી પડી છે તેટલું તો વ્યથા સાથે કહેવું જ પડે તેમ છે. કોર્ટની ટકોર અંગેની વાત કરીએ તો થોડા સમય પહેલા દેશની સર્વોચ્ચ અદાલતે કોરોનાની ગંભીર પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને દેશમાં મેડિકલ ઇમરજન્સી છે કે શું તેવી પણ ટીકા કરી હતી ઓક્સિજનની અછત અંગે પણ કહેલ કે ગમે ત્યાંથી ઓક્સિજન લાવી દર્દીઓને મોતના મુખમાં હોમાતા બચાવો આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે પણ બે વખત ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી હતી વિવિધ કોર્ટો દ્વારા વધારે પ્રમાણમાં ટીકા થઈ હોય તેવો તો આ પ્રથમ બનાવ છે તેવું તો ચોક્કસ કહી શકાય.