- મ્યાનમાર શરણાર્થીઓ ભારતમાં આવવાની શક્યતા તો છે જ
- મ્યાનમારમાં સેનાના વિનાશક તાંડવ સામે વિશ્વના ઢીલા પગલાં
- એક સપ્તાહ બાદ અમેરિકાએ પ્રતિબંધો લાદ્યા
- બ્રિટન સહિત ૧૨ દેશોમાં લશ્કરી વડાએ ટીકા કરી
- ભારતના નેતાઓ સોમવાર સાંજ સુધી મૌન રહ્યા
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
આપણે ભુગોળમાં જેને બ્રહ્મદેશ તરીકે ભણી ગયા છીએ અને જે દેશ હાલ મ્યાનમાર તરીકે ઓળખાય છે તે દેશમાં ચાર-છ માસ પહેલા લોકશાહીનું ખૂલ્લેઆમ ચીરહરણ તો થઈ ગયું પરંતુ હવે તો ત્યાંના લશ્કરી શાસકો સામે સડક પર ઉતરેલા લોકોને કાં તો મોતના મુખમાં હોમાઈ જવું પડ્યું છે. અથવા તો ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું છે. હજારો લોકો ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલતમાં અને કોરોનાના કહેર વચ્ચે જંગલમાં દિવસો ગુજારવા પડે છે. તો હજારો લોકોએ દેશ છોડવાની – હિજરત કરવાની પણ શરૂ કરી દીધું છે. ભગવાન બુદ્ધનો શાંતિનો સંદેશો ત્યાં સાવ ભૂલાઈ ગયો છે. ભારતના નિકટતમ પડોશી દેશ મ્યાનમારમાં થોડા માસ પૂર્વે લોકશાહી સરકારનું પતન થયું કે લશ્કરના વડાઓની સત્તા મેળવવા દાઢ સળકી અને ત્યાંના શાસકો અને ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને જેલમાં સળિયા પાછળ ધકેલી દેવાયા. તમામ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ સુષુપ્ત કરી દેવાઈ. લોકોના લોકશાહી અધિકારો છીનવી લોકશાહીનું છેડેચોક ચીરહરણ કરાયું. આ એક કમનસીબ ઘટના છે.

લોકોએ અમૂક સમય સહન કર્યું પરંતુ દોઢ બે માસ પહેલા લોકો સડક પર આવ્યા છે અને લશ્કરી શાસકો સામે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અને તેમની ચુંગાલમાંથી મૂક્ત થવા સંકલ્પ કર્યો છે. પરંતુ લશ્કરી શાસકો કોઈ આંદોલન શરૂ થતાંની સાથે જ સત્તા છોડે તેવા સાણા તો નથી જ હોતા. સત્તાની ભૂખ સંતોષવા માટે જેમ વિવિધ દેશમાં સત્તાધારી પક્ષ વિપક્ષને ખતમ કરવા માટે તેમના પર હિંસાખોરીના આરોપ મૂકે છે વિવિધ નાણાકીય સંડોવણીના આક્ષેપ પણ મૂકે છે તે રીતે પહેલા શાસક અને વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલી દીધા બાદ આ મ્યાનમારના લશ્કરી શાસકોએ પોતાના સામે દેખાવો કરી રહેલા લોકો પર દમનનો કોરડો વીંઝવાનું શરૂ કરી દીધું છે. મ્યાનમારના લશ્કરે કરેલા ગોળીબારમાં કુલ ૪૦૦થી વધુ લોકો મોતના મુખમાં હોમાઈ ગયા છે. અસંખ્ય લોકો ઘાયલ થયા છે.

એક અહેવાલ પ્રમાણે ઘણા લોકોએ રંગુન જેવા શહેરોને છોડી મ્યાનમારના જંગલમં આશરો લીધો છે અને ઉનાળાના પ્રારંભની કાળઝાળ ગરમી વચ્ચે પરિવાર સાથે જીવન જીવી રહ્યા છે. બીજો એક અહેવાલ એમ પણ કહે છે કે મ્યાનમાંથી ત્રણ હજારથી વધુ લોકો થાઈલેન્ડ તરફ પ્રયાણ કરી ગયા છે. આ બધા વિમાનમાં મુસાફરી કરવા માટે ટેવાયેલા છે અને સમૃદ્ધ પરિવારોવાળા છે પરંતુ બાકીનાને તો જંગલમાં આશરો લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી તે પણ હકિકત છે.

આખરે જગતનું જમાદાર અમેરિકા પ્રથમ જાગ્યું છે અને દમનકારી લશ્કરી શાસનવાળા મ્યાનમાર પર અમેરિકાએ વ્યાપારી પ્રતિબંધ લાદી દીધા છે. જ્યારે ૧૨ અન્ય દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની, ગ્રીસ, ઈટાલી, ડેનમાર્ક, જાપાન, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ, સાઉથ કોરીયા અને બ્રિટને ભલે કોઈ પ્રતિબંધો લાદ્યા નથી પરંતુ મ્યાનમારના સૈનિક શાસનની આકરા શબ્દોમાં ટીકા કરી છે, ઝાટકણી કાઢી છે. જો કે પ્રતિબંધો લાદ્યા નથી. જો કે મ્યાનમારની સરહદને અડીને આવેલા ભારતના સત્તાવાર વર્તુળોએ હજી સુધી (મંગળવાર સુધી) કોઈ સત્તાવાર સ્વર કાઢ્યો નથી.

માનવ અધિકાર સંગઠનો પણ પોતાના મોઢે અલીગઢી તાળા મારીને બેસી ગયા છે અને કૌરવોની સભામાં ભીષ્મ પિતામહ, ગુરૂ દ્રોણ જે રીતે દ્રોપદીના ચીરહરણ વખતે દુઃશાસન અને દુર્યોધન સામે એક હરફ પણ ઉચ્ચારી શકતા નહોતા તે જ રીતે આ મોટી સત્તાઓના શાસકો ભલે તે ભીષ્મ પિતામહ કે ગુરૂ દ્રોણની કક્ષા કરતાં તેમની કક્ષા ઘણી નીચી છે. તેમની સરખામણી થી જ શકે તેમ નથી તો પણ આ દમનરાજ સામે ચૂપ રહી મહાભારતકાળના મહાનુભાવોના વલણનું પુનરાવર્તન તો અવશ્ય કરી રહ્યા છે. મોડા મોડા જગતનું જમાદાર જાગ્યું છે તે સારી વાત છે.

આ બાબત મહાસત્તાઓ માટે ચિંતાજનક હોય કે ન હોય પણ મ્યાનમારમાં આકાર લેતી ઘટનાઓ તેના નજીકના પડોશી દેશ એવા આપણા (ભારત) માટે તો અવશ્યે ચિંતાજનક છે. કારણ કે મ્યાનમાર ઈશાન ભારતના અરૂણાચલ મેઘાલય, મિઝોરમ સહિત ચાર રાજ્યો સાથે સરહદી રીતે જોડાયેલું છે અને મ્યાનમારમાં હિજરત કરી રહેલા લોકોનો સમૂદાય ભારત ભણી આ સરહદી રાજ્યો તરફ આવી રહ્યો હોવાના કારણે કેટલાક સંકેતો મળ્યા છે.

હવે માનો કે મ્યાનમારના આ શરણાર્થીઓનો સમૂહ ભારતના સરહદી રાજ્યોમાં આવે તો આપણે તેને પાછો તો મોકલી શકવાના નથી જ. એટલે ભારત માટે પણ આ બનાવ સતર્ક રહેવા જેવો તો છે જ. મ્યાનમારમાં છૂપાયેલા માઓવાદીઓને ખતમ કરવા ભારતે મ્યાનમારને મદદ કરેલી જ છે. વિસ્તારવાદી ચીનનો પણ મ્યાનમાર પર ડોળો છે જ. ભારતમાં જ્યારે કોરોના કહેર વર્તાવી રહ્યો છે ત્યારે જાે મ્યાનમારના શરણાર્થીઓનો પ્રવાહ વધતો જાય તો ભારત માટે પણ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.

૧૯૭૦ના દાયકામાં જે રીતે પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનના લશ્કરી શાસકોએ દમનનો દોર ચલાવેલો તે જ રીતે અથવા તો તે જ પ્રકારના ઈતિહાસનું મ્યાનમારમાં પણ પુનરાવર્તન થવાનો ભય ઘણા નિષ્ણાતોને સતાવે છે. પૂર્વ પાકિસ્તાન વખતે તો ભારતે ત્યાંના શેખ મુજીબ રહેમાનની આગેવાની હેઠળના સ્વાતંત્ર્યવીરોએ કરેલી બાંગ્લાદેશની રચનાને ભારતના તત્કાલીન શાસકોએ માન્ય રાખી હતી અને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ખૂદ અમેરિકા જઈને આંતરરરાષ્ટ્રીય મોરચે આ અંગેની સાચી સ્થિતિ સમજાવી હતી અને તે વખતે અકળાયેલા પાકિસ્તાનના લશ્કરી શાસકોએ લાદેલા યુધ્ધનો સામનો કરી બાંગ્લાદેશને પાકિસ્તાની શાસકોની ચુંગાલમાંથી આઝાદ કરાવ્યો હતો. જો કે મ્યાનમારમાં ૧૯૭૦ના દાયકાના પૂર્વ પાકિસ્તાન અને હાલના બાંગ્લાદેશમાં લોકો પર દમનનો કોરડો વીંઝવા સહિતના બનાવોનું પુનરાવર્તન થઈ રહ્યું છે તે તો ઘણા નિષ્ણાંતોએ નોંધ લીધી છે. જો કે મ્યાનમારના લોકો પર થતાં દમન બાબતમાં હાલના ભારતના નેતાઓ પણ મૌન સેવે છે. કારણ કે તેઓ પાંચ રાજ્યોની ચૂંટણી અને કોરોના સામેની લડાઈમાં વ્યસ્ત છે.
