વિશ્વાસ અને અંધવિશ્વાસ અંતર
વિશ્વાસ અને અંધવિશ્વાસમાં કેટલુ અંતર છે? ફક્ત એક પ્રશ્ન ચિન્હ જેટલું ! “ભગવાન ખરેખર છે.” આ માન્યતા વિશ્વાસ છે. “ભગવાન ખરેખર છે?” આ વિચાર અંધવિશ્વાસ ને જન્મ આપે છે. ભગવાન ક્યાંક છે અને આપણી રક્ષા કરશે, એ વિશ્વાસ છે. શું ભગવાન આપણી રક્ષા કરશે? ભગવાન આપણી રક્ષા કરે એના માટે જ્યાં ભગવાનને લાંચ આપવી પડે ત્યાં જ અંધવિશ્વાસ છે.
આસ્તિક હોવાનો અર્થ અંધશ્રદ્ધા પાળવું નથી. આસ્તિક હોવું તો વ્યક્તિની અંગત પસંદ છે, અંધશ્રદ્ધા એ વ્યક્તિમાં ઉત્પન્ન કરવામાં આવે છે. જીવનમાં સૌથી ભયાનક ભાવ ભયનો છે. વ્યક્તિના મનમાં ભયની ઉપજ કરીને ભગવાનને પોતાના કાબૂમાં રાખવાના દાવા કરતાં સ્વામી ગુરુઓ પોતાનો ધંધો ચલાવતાં હોય છે. “જો તમે પૂજા નહીં કરાવો તો તમને ઘણું આર્થિક નુકસાન થશે” પણ એ પૂજા કરાવવા માટે એ જ બાબા પંડિત હજારોની દક્ષિણા લઈ જાય છે, તો એ વ્યક્તિનું આર્થિક નુકસાન ન ગણાય?
હાલમાં જ વડોદરાના એક જ પરિવારના ૯ લોકો એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. કારણ આર્થિક તાણ અને એ આર્થિક તાણનું કારણ? અંધવિશ્વાસ ! એ પરિવારે કોઈ સ્વામીની વાતમાં આવીને એમને ધીરે ધીરે કરીને ૩૨ લાખ રૂપિયા આપી દીધા ! એને અંતમાં એ પરિવાર પાસે આત્મહત્યા કર્યાં વગર કોઈ રસ્તો જ ન રહ્યો. શું આવી અંધશ્રદ્ધા રાખવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય? આ પરિવાર તો અંધવિશ્વાસ ના કારણે ખરેખર ઈશ્વરને પ્રાપ્ત થઈ ગયું !
પૃથ્વીથી કરોડો મીલ દૂર આવેલો મંગળ ગ્રહ પૃથ્વી પર રહેતાં મનુષ્યને ક્યાં નડે? બે વ્યક્તિના લગ્નમાં ! ભારત દેશ એકલો જ એવો દેશ છે જેની સંસ્કૃતિ પ્રેમ પર આધારિત છે, અને નવાઇની વાત છે કે ભારતમાં જ પ્રેમ લગ્નને સંસ્કૃતિના વિરુદ્ધ માનવામાં આવે છે. જે દેશોમાં કુંડળી, જન્માક્ષર જેવા શબ્દો કોઈને ખબર જ નથી, શું ત્યાં લોકો લગ્ન નહીં કરતાં હોય? આ નકામી અંધશ્રદ્ધા થી જો આપણે દૂર થઈ જઈએ તો કોઈ પ્રેમ કરનાર જોડું પોતાનો જીવ ક્યારેય નહીં લે.
ભગવાન દરેક વ્યક્તિના મનમાં વાસ કરે છે, મંદિરોમાં નહીં. લોકો મંદિરની બહાર બેઠા ભિખારીને એક રૂપિયો નથી આપી શકતા પણ એ જ લોકો મંદિરની અંદર લાખો કરોડોનું દાન કરી આવે છે. એક પથ્થરને લિટરો દૂધનું સ્નાન કરાવે છે પણ ઘર આંગણે આવેલા ભૂખ્યાને એક ગ્લાસ પાણી પણ નથી પૂછતા. ભગવાન જ્યાં પણ છે, શું એ એના બનાવેલા મનુષ્યો સાથે આવો વ્યવહાર થતો જોઈને રાજી થશે? ઈશ્વર દેખાડા પર નહીં મનના વિચારો પર વિશ્વાસ કરે છે. જો ભગવાન મૂર્તિઓમાં જ વસતા હોત તો કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી, જતી એક પણ ગાડીનો ક્યારેય અકસ્માત ન થયો હોત. મંદિરો બનાવવામાં કરોડો ખર્ચવા કરતાં સારું છે કે સરકાર એ જ રકમથી ગરીબ બાળકો માટે શાળા કોલેજો બનાવે, જેમાં ભણીને ભારત દેશના યુવાનો આ દેશની પ્રગતિમાં સહયોગ આપી શકે.
ઈશ્વર, અલ્લાહ, જીસસ, બધાં એક જ છે. દરેક ધાર્મિક પુસ્તક, ભાગવદ્ ગીતા, કુરાન કે બાઇબલ, એક જ ઉપદેશ આપે છે – પરસ્પર પ્રેમ અને કરુણાનો. એક પણ પુસ્તકમાં ઈશ્વર માટે મંદિર, અલ્લાહ માટે મસ્જિદ કે જીસસ માટે ચર્ચ બનાવવાનો ઉલ્લેખ ક્યાંય નથી. રામ વ્યક્તિના મનમાં છે, કોઈ ભવ્ય મંદિરમાં નહીં. ઈશ્વરને પણ એવું જ ઘર ગમે જેમાં પ્રેમ, લાગણી, કરુણા અને શ્રધ્ધા હોય. જે મનમાં આ ભાવ હોય, એ મનમાં ઈશ્વરનો વાસ હોય. જે મનમાં ઈર્ષ્યા, દ્વેષ, ક્રોધ જેવાં ભાવોનો રાવણ રહેતો હોય, એ મનમાં રામ ક્યારેય ન વસે. એ જ લોકો પછી રામને મંદિરમાં શોધવાના પ્રયાસો કરે અને સદૈવ નિષ્ફળ રહે. મનમાં વસતા રાવણનો નાશ જે કરે, એના જ મનમાં રામ વસે.
જ્યારે ઈશ્વરને મન ના બદલે આપણે મંદિરમાં શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરીએ ત્યારે જ આપણો વિશ્વાસ, અંધવિશ્વાસ માં બદલાઈ જાય. ઈશ્વર શ્રધ્ધાથી પ્રાપ્ત થાય, અંધશ્રદ્ધાથી જે મળે છે એ ફક્ત ઈશ્વરની ભ્રાંતિ છે, ઈશ્વર નહીં.
– સ્નેહા ધોળકીયા, કટાર લેખક