Dharma & Bhakti: આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શ્રાવણના પવિત્ર માસમાં બાર જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના અને દર્શનનો અનેરો મહિમા હોય છે. પરંતુ જો તમે જ્યોતિર્લિંગના દર્શન કરવા જઇ શકો એમ ના હોય, તો તમારા ઘરના મંદિરમાં સ્થાપિત કરેલા શિવલિંગ સમક્ષ બેસીને, વિવિધ ધ્યાન મંત્રોનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરીને પણ તમે જે-તે જ્યોતિર્લિંગની આરાધના કરી શકો છો.
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પૂજનવિધિ તથા ધ્યાનમંત્રોનો જાપ કરીશું.
પૂજાવિધિ
સૌપ્રથમ બંને હાથ જોડીને, ઘરના મંદિરમાં વિરાજમાન શિવલિંગમાં ભગવાન મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું ધ્યાન ધરવું તથા આ મંત્રનો જાપ કરવો.
मंत्र – श्रीशैलशृङ्गे विबुधातिसङ्ग तुलाद्रितुङ्गेऽपि मुदा वसन्तम् ।
तमर्जुनं मल्लिकपूर्वमेकं नमामि संसारसमुद्रसेतुम् ।।

પૂજા કરવા માટેની સામગ્રીમાં, બીલીપત્ર,જળ, દૂધ, પુષ્પ તથા પંચામૃતની આવશ્યકતા રહેશે. આ પાંચેય સામગ્રી દ્વારા શિવલિંગ પર અભિષેક કરવો. ત્યારબાદ, હવે શિવલિંગ પર બીલીપત્ર ચઢાવતી વખતે આ મંત્રનો જાપ કરવો.
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम् ।
त्रिजन्मपापसंहारं एक बिल्वपत्रं शिवार्पणम् ।।
ત્યારબાદ, નૈવેદ્ય ધરાવીને ભગવાનને પ્રણામ કરવા અને આ ક્ષમા પ્રાર્થના મંત્રનો જાપ કરવો.
आवाहनं न जानामि, न जानामि तवार्चनम् ।
पूजां चैव न जानामि, क्षम्यताम् परमेश्वर ।।
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું મહાત્મ્ય
આંધ્રપ્રદેશના નંદયાલ ખાતે સ્થિત, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સાથે એક પૌરાણિક કથા અને ધાર્મિક માન્યતા જોડાયેલી છે. જે અનુસાર, ભગવાન શિવ તથા માતા પાર્વતીથી નારાજ થઇને તેમના પુત્ર કાર્તિકેય સ્વામી શ્રી શૈલ પર્વત પર તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા. એ સમયે, પોતાના પુત્ર કાર્તિકેયને મળવા માટે, પુત્રવિરહમાં ઝૂરતા શિવ-પાર્વતી એકસાથે આ સ્થળે પ્રગટ થયા હતા. ભગવાન શિવને ‘અર્જુન’ તથા માતા પાર્વતીને ‘મલ્લિકા’ ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બંને નામોના સંયોગથી આ જ્યોતિર્લિંગ ‘મલ્લિકાર્જુન’ નામથી પ્રસિદ્ધ છે. અહિંનો વિશેષ મહિમા એ છે કે, આ સ્થળે શિવ-પાર્વતીનું પૂજન એકસાથે કરવામાં આવે છે તથા તેને ‘દક્ષિણનું કૈલાસ’ પણ કહેવામાં આવે છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
