ભારત અને ચીન વચ્ચે ઘણા સમયથી ડોક્લામ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ભારત તરફથી ડોકલામ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના તમામ પ્રયાસો કરવા છતાં ચીન તેનું ધમકીભર્યું વલણ છોડવા તૈયાર નથી. ચીની મીડિયાએ ભારતીય સેના પર ધમકીઓનો મારો ચલાવ્યાં બાદ હવે ચીની સેનાએ ભારતીય સેનાને ખુલ્લી ધમકી આપી છે. ચીની સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘અમારી સહનશક્તિ પુરી થઈ રહી છે, ભારત તેના સૈનિકોને જલદી પરત બોલાવે, બાકી ચીનની સેના તેની સરહદોની રક્ષા કરવા તૈયાર છે.’
ચીનના રક્ષામંત્રાલયના પ્રવક્તા અને પિપલ્સ લિબરેશન આર્મીના (PLA) કર્નલ રેન ગુઓકિયાંગે તેમના એક નિવેદનમાં જણાવ્યું કે, ચીને અત્યારસુધી ડોકલામ મામલે પોતાના સંયમનો પરિચય આપ્યો છે અને રાજકીય સ્તરે વિવાદને ઉકેલવા પ્રયાસ કર્યો છે. પણ તેની એક સમયમર્યાદા છે અને હવે અમારી સેનાનો સંયમ પૂરો થઈ રહ્યો છે.
કર્નલ રેન ગુઓકિયાંગે ભારત પર ચીનની સરહદમાં ઘુસવાનો આરોપ લગાવતા કહ્યું કે, ‘ભારતે એ ભ્રમમાંથી દૂર રહેવું જોઈએ કે, મોડું કરવાથી ચીન ડોકલામ વિવાદને ભૂલી જશે અને સમસ્યાનું સમાધાન આવશે. ચીની સેનાના પ્રવક્તા કર્નલ રેન ગુઓકિયાંગે ભારતને ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, ચીનની જમીન કોઈ દબાવી શકે નહીં. ચીનની સેના પોતાના ભૂખંડ અને સંપ્રભુતાની રક્ષા કરવા સ્વતંત્ર છે.
આશરે બે મહિના જેટલા સમયથી સિક્કીમ સેક્ટરે ભારત-ચીન-ભૂટાન ટ્રાઈ જંક્શન પાસે ભારત અને ચીનની સેના આમનેસામને છે. જેમાં ચીન દ્વારા ભારત માટે સતત ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ભારતમાં ચીનના રાજદૂત તરફથી 15 પૃષ્ઠોનું નિવેદન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં ડોકલામમાં ભારતીય સેનાની હાજરીને ચીન દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવી હતી.