અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) –
(મો) 98255 22235 (ઈ-મેલ) harisahitya@gmail.com
રક્ષાબંધન – શ્રાવણ સુદ પૂર્ણિમા (તા. 3 ઓગસ્ટ 2020, સોમવાર)
યોગ્ય સમયે કરેલું શુભકાર્ય આપણને અનેકગણું ફળ આપી શકે છે. બહેન ભાઈને રક્ષા બાંધી અને ભાઈ બહેન માટે કર્તવ્યપરાયણતા દાખવે તે કાર્ય તો દિવસમાં ક્યારેય પણ થઈ શકે. આ શુભકાર્ય માટે કોઈ મુર્હૂર્ત જોવાની જરૂર નથી એવો તર્ક કદાચ આપણા મનમાં ઉદભવી શકે છે. આ કાર્ય માટે કોઈ મુર્હૂર્ત જોવાની જરૂર જ ન હોય તેવો પણ કેટલાક લોકોનો મત હોય છે.
જો શુભકાર્ય દિવસમાં ગમે ત્યારે કરવું હોય તો યોગ્ય સમયે કરીએ તો વધુ ફળદાયી રહે. જેમ કે, ભોજન આખા દિવસમાં ગમે ત્યારે કરી શકાય પણ બપોરે સૂર્ય બરાબર મધ્યાહને આવે ત્યારે ભોજન કરીએ તો આરોગેલું ભોજન સારી પેઠે પચી જાય. એક પ્રકારે સૂઈ જવું હોય તો ગમે ત્યારે સૂઈ જવાય પણ રાત્રિના સમયે સૂઈ જઈએ તો આપણે નિરાંતની ઊંઘ લઈ શકીએ. ભારતીય સંસ્કૃતિની વૈદિક પરંપરામાં મુર્હૂર્ત એટલે કે યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવાનો મહિમા ખૂબ કહેવાયો છે. શ્રીલક્ષ્મી દેવીએ બલિરાજાને રક્ષાબંધન કર્યું હતું, કુંતા માતાએ અભિમન્યુને રક્ષાબંધન કર્યું હતું ત્યારે ક્યું મુર્હૂર્ત હતું તે આપણે નથી જાણતા પણ ઋષિ-મુનિઓએ ખૂબ મહેનત કરીને જે મુર્હૂર્ત શાસ્ત્રની રચના કરી છે તેને અનુસરીશું તો આપણા અશુભ પણ શુભમાં પરિવર્તીત થઈ જશે એવી શ્રદ્ધા મનમાં દૃઢ રાખવી.
રક્ષા બંધનનો શુભ સમય
રક્ષાબંધનના દિવસે પૂર્ણિમા તિથિ રાત્રિના 9.28 મિનિટ સુધી જ છે. વળી, સવારે 7.30 થી 9.00 સુધી રાહુકાલ છે અને સવારે 9.28 સુધી ભદ્રાયોગ ચાલે છે જે રક્ષાબંધન માટે યોગ્ય ન કહેવાય. રાહુકાલ અને ભદ્રા વિતી ગયા બાદ સવારે 9.28 પછી જ રક્ષાબંધનની ઉજવણી કરીશું યોગ્ય રહેશે.
સિદ્ધિયોગ નામનો શુભયોગ સવારે 7.20થી પ્રારંભ થાય છે અને બીજા દિવસના સૂર્યોદય સુધી સિદ્ધિયોગ રહેશે. જેથી, સવારે 9.28 પછીના મુર્હૂર્તો અહીં આપના માટે આપી રહ્યો છું-
રક્ષાબંધન ઉજવવા માટે સુયોગ્ય મુર્હૂર્ત
- શુભ ચોઘડીયું – સવારે 9.29 થી 11.08
- વિજય મુર્હૂર્ત – સવારે 12.34 થી 12.58
- લાભ ચોઘડીયું – સાંજે 4.03 થી 5.41
- અમૃત ચોઘડીયું – સાંજે 5.41 થી 7.19
રક્ષાબંધનની વિધિ
- બહેને લાવેલી રાખડી પ્રથમ ભગવાન સમક્ષ મૂકવી.
- બહેન અને ભાઈએ પૂર્વદિશામાં સ્થાન ગ્રહણ કરવું.
- એક નાની થાળીમાં ઘીનો દિવો, અક્ષત, કુમકુમ, મીઠાઈ અને રક્ષા મૂકવી.
- દિપપ્રાગટ્ય કરીને ભાઈના જમણાં કાંડે બહેને રાખડી બાંધવી.
- રાખડી બાંધ્યા પછી ભાઈને કુમકુમનું તિલક કરવું અને ભાલે કુમકુમ તિલક ઉપર અક્ષત મૂકવા.
- રક્ષાબંધન બાદ ભાઈ અને બહેને એકબીજાને મિઠાઈનો કટકો ખવડાવવો.
- બહેને ભાઈને રૂડા આશીર્વાદ આપવા અને ભાઈએ પણ બહેનને રૂડા આશિર્વાદ આપવા અને યથાશક્તિ ભેટ અચૂક આપવી.
- વડીલોના ચરણસ્પર્શ કરી આશિર્વાદ મેળવવા.
- સમગ્ર પરિવારે સાથે બેસીને ભોજન કરવું.
- ઘરમાં ખૂબ જ આનંદનું વાતાવરણ રાખવું.
ખાસ નોંધ – હમણાં ચાલી રહેલા કોરોના સંક્રમણ દરમિયાન જો બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા રૂબરૂ ન જઈ શકે તો દુઃખ ન લગાડવું. ઉપર દર્શાવેલા મુર્હૂર્ત દરમિયાન બહેન ભાઈને ફોન ઉપર વાત કરી શકે અથવા વીડીયો કોલ દ્વારા પણ રક્ષાબંધનનો તહેવાર સાચવી શકાય.
ઈતિ શુભમ્.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.