રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચુંટણી જાહેર થઇ ત્યારથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી સુધી જિલ્લા ભાજપના બે જુથ પોતાનો દબદબો રાખવા માટે સામસામે લડી રહ્યાં છે. જેમાં તાજેતરમાં સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ 3 સભ્યો સામે રૈયાણી જુથ દ્વારા સ્ટે લેવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલો ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષ પહોંચ્યો છે,જેને લઇને બન્ને જુથના આગેવાનોએ નિવેદન આપતા સામસામે પ્રહારો કર્યાં છે.
રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ભાજપના બે જૂથ સામસામે આવી ગયા હોવાથી ભાજપની છબીને નુકસાન થઇ રહ્યું છે. આ અંગે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો મળ્યા હતા અને આ પ્રશ્ને નિરાકણ કરવા રજૂઆત કરી હતી. લોધિકા ખરીદ વેચાણ સંઘમાં સરકારના ત્રણ સભ્યની નિમણૂક કરવાની હોય છે. આ ત્રણ સભ્યમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા અને પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાની પસંદગી કરવામાં આવી હતી. જો કે ભાજપના જ ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ આ નિમણૂક સામે સહકાર વિભાગના સચિવ પાસેથી ત્રણેયની નિમણૂક સામે સ્ટે મેળવ્યો હતો. સમગ્ર બાબતે નિતિન ઢાંકેચાએ જણાવ્યું હતું કે ઠરાવ કરતા સમયે ગેરરીતી કરવામાં આવી હતી અને મંડળીઓને ધમકાવવામાં આવી હતી,છતા અમે આગેવાનોની દરેક વાત અત્યાર સુધી માન્યા છીએ અને ભવિષ્યમાં પણ માનવાના છીએ.તાલુકાની મેટર મુખ્યમંત્રી સુધી પહોંચે તે ગંભીર બાબત કહેવાય.
જિલ્લા ભાજપના આગેવાનોની ગાંધીનગર મુખ્યમંત્રી સમક્ષની રજુઆતને લઇને રા.લો.સંઘના બીજા જુથના આગેવાન અને ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપના આગેવાનો જે નિર્ણય કરશે તે શિરોમાન્ય રહેશે, સરકાર દ્વારા નિયુક્ત સભ્યો સામે સ્ટે લેવા પાછળનું મુખ્ય કારણ કે જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે.સખિયા સમગ્ર મામલે જજની ભુમિકામાં હોવા છતા તેઓ અમને વિશ્વાસમાં લીધા વિના 3 નામ સરકારમાંથી મંજુર કરાવી લાવ્યાં હતાં. રા.લો.સંઘના સામેના જુથના લોકો 15-17 વાર કોંગ્રેસ-ભાજપમાં ગયા છે.જેથી તેમના માટે પાર્ટી જેવુ કઇ હોતું નથી.
રાજકોટ લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચુંટણી જાહેર થયાથી આજદિન સુધી બન્ને જુથ વચ્ચેનો વિવાદ પુર્ણ થવાનું નામ જ નથી લેતો, ત્યારે હવે તાલુકા કક્ષાની સંસ્થાનો મામલો ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે, અને હવે મુખ્યમંત્રી મધ્યસ્થી બનીને સમગ્ર વિવાદને પુર્ણ કરે તો નવાઇ નહીં.
ધ્રુવ કુંડેલ, રાજકોટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.