કર્ણાટકના મૈસૂર પાસે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. જીવ ગુમાવનારાઓમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, મૈસૂરના પોલીસ અધિક્ષક સીમા લટકરે જણાવ્યું કે તિરુમાકુડલુ-નરસીપુર નજીક એક ખાનગી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ. અન્ય અહેવાલો અનુસાર, કારમાં સવાર એક વ્યક્તિ બચી ગયો છે અને તેની સારવાર ચાલી રહી છે.
Karnataka | 10 people including two children dead in an accident between a private bus and a car near Tirumakudalu-Narasipura: Seema Latkar, SP Mysuru
— ANI (@ANI) May 29, 2023
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃત્યુ પામેલા લોકોના પરિવારોને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું, “મૈસુર જિલ્લાના ટી નરસીપુરા પાસે થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતથી હું દુઃખી છું જેમાં 10 લોકોના મોત થયા હતા. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સંબંધિત અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મૈસૂર પાસે થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને આર્થિક મદદની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, કર્ણાટકના મૈસૂરમાં થયેલા દુ:ખદ દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારા વિચારો એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું. ૉ
ઉલ્લેખનીય છે કે સોમવારે જ ઝારખંડના ધનબાદ જિલ્લામાં રેલવે ફાટક પાસે વીજ કરંટ લાગવાથી છ લોકોના મોત થયા હતા. ધનબાદ અને મૈસુર અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી રૂ. 2 લાખની નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.