દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વી-વીઆઈપી ચાર્ટર ફ્લાઇટ્સની અવરજવર વધી જતા પેસેન્જર્સ તકલીફમાં મુકાય ગયા હતા. વીઆઇપી અવરજવરને કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 13 જેટલી ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવામાં આવી હતી જેના કારણે એરપોર્ટ પર પેસેન્જર્સની લાંબી લાઈનો જોવા મળી હતી. ડાઇવર્ટ અને વિલંબ 5.30 થી 6.15 વાગ્યા વચ્ચે થયો હતો પરંતુ અત્યાર સુધીમાં 50 થી વધુ ફ્લાઇટ્સ પર તેની અસર પડી હતી. એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) ના સૂત્રોના જણાવ્યા મુજબ વિલંબ માટે નું કારણ દિલ્હી એરપોર્ટ પર વીઆઇપી ચાર્ટર ફ્લાઇટ્સના લૅન્ડિંગને લીધે થવાની શક્યતા છે.
જેટ એરવેઝે ટ્વિટર પર જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર વીવીઆઈપી અવરજવરના લીધે એર ટ્રાફિકના ભીડને કારણે તેમની કેટલીક ફ્લાઇટ્સ અસરગ્રસ્ત થઈ છે. એર ટ્રાફિકના સંદર્ભમાં ઈંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ગણાય છે. તે દૈનિક ધોરણે 1,000 થી વધુ ફ્લાઇટ્સ સંભાળે છે.