પુત્રાજયા: મલેશિયાના PM મહાતિર મોહમ્મદે શુક્રવારે કહ્યું હતું કે, વિવાદિત ભારતીય ધર્મ ઉપદેશક ઝાકિર નાઈકનું પ્રત્યાર્પણ કરીશું નહીં. ઝાકિર પર આતંકી ગતિવિધિઓ અને નફરત ફેલાવવા વાળા ઉપદેશ આપવાનો આરોપ છે. તે ઘણાં લાંબા સમયથી મલેશિયામાં છે.
મલેશિયાઈ વડાપ્રધાન (PM) મહાતિરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, “જ્યાં સુધી તે કોઈ મુશ્કેલી ઉભી નહીં તો અમે તેનું પ્રત્યાર્પણ નહીં કરીએ, કારણ કે, અમે તેને અહિયાં સ્થાયી રૂપથી (કાયમી ધોરણે) રહેવા માટેની મંજૂરી આપી છે.” મહાતિરે મીડિયામાં ઝાકિરના પ્રત્યાર્પણને લઈને આવી રહેલા સમાચારો અંગે સવાલ કર્યો હતો.
જયારે બીજી તરફ બાવન વર્ષીય ઝાકિર નાઈકે પણ પોતાના પ્રત્યાર્પણ અંગેના સમાચારોને બેબુનિયાદ ગણાવ્યા હતા. તેનું કહેવું છે કે, જ્યાં સુધી તેને નહીં લાગે તે ‘ખોટા કેસમાં સુરક્ષિત’ છે ત્યાં સુધી તે ભારત પરત આવવાનો નથી.
એનઆઈએ કરી રહી છે તપાસ
વર્ષ-૨૦૧૬માં બાંગ્લાદેશમાં કેટલાક આતંકવાદીઓએ દાવો કર્યો હતો કે, તેઓ ઝાકિરના ભાષણોથી પ્રેરિત છે. આ પછી ભારતમાં ઝાકીરની વિરુદ્ધ તપાસ શરૂ થઈ હતી. તે જુલાઈ ૨૦૧૬માં ભારત છોડીને જતો રહ્યો હતો. ઝાકિરની વિરુદ્ધ મની લોન્ડરિંગ અને આતંકના મામલામાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ) તપાસ ચલાવી રહી છે.