સુરત/ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે 158 લોકોનું કરાયું સ્થળાંતર

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા સુરત મહાનગરપાલિકા તંત્ર સતર્ક છે. રેવાનગરના 11 પરિવારોના ઘરોમાં પાણી ભરાતા 48 વ્યકિતઓ તેમજ સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 110 વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક વધતા તાપી નદીમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા મેયર દક્ષેશ માવાણી, ડે. મેયર ડો.નરેશ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શશીકલા ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાળા અને મનપાના અધિકારીઓએ રાંદેર ઝોન વિસ્તારના હનુમાન ટેકરી, રેવા નગર, અડાજણ ખાતે અને સેન્ટ્રલ ઝોન વિસ્તારના ધાસ્તીપુરા સ્થિત ફલડગેટની સ્થળ મુલાકાત લીધી હતી.

ઉકાઇ ડેમમાંથી ગઇકાલે 2.89 લાખ કયુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા રેવાનગર ખાતે ભરાયેલા પાણીની સમસ્યા અંતર્ગત સ્થાનિકો પાસેથી મહાનગરપાલિકા કમિશનર તેમજ મેયરે પરિસ્થિતી અંગે માહિતી મેળવી હતી. ઉકાઇ ડેમમાંથી તાપી નદીમાં છોડવામાં આવેલ પાણીના કારણે તાપી નદી બંને કાંઠે વહેતી થઇ છે. જેથી સાવચેતીના ભાગરૂપે શહેરમાં પાણી ન પ્રવેશે તે માટે સેન્ટ્રલ ઝોન અને રાંદેર ઝોન વિસ્તારના કુલ 5 ફલડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તાપી નદી કિનારેથી નીચાણવાળા વિસ્તારોના સ્થાનિક રહીશોને સલામતીપૂર્વક સ્થળાંતર કરાવાયુ છે. જે પૈકી રેવાનગરમાં રહેતા 11 પરિવારોના ઘરોમાં પાણી ભરાતા 48 વ્યકિતઓ તેમજ સુરક્ષાના કારણોસર સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 110 વ્યકિતઓને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે.

ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી તથા ફલડ ગેટનું મનપા તંત્ર દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મનપાની ટીમ મારફત નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ફુડપેકેટ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધા સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યારે તાપી નદી કિનારાના વિસ્તારોમાં અવર-જવર ટાળવા તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે