Gandhinagar News: ગુજરાતમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. તાપમાનનો પારો 45 ને પાર જતા હીટવેવની અસરને કારણે સંખ્યાબંધ લોકોની તબીયત બગડી રહી છે. તો કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવામાં ગરમીના કારણે માત્ર માણસો જ નહીં પરંતુ જીવસૃષ્ટિના પશુ-પક્ષીઓ પણ પરેશાન છે. દરમિયાન ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હિલોલ ગામમાં ગરમીના કારણે વડના ઝાડ પરથી પડીને 200 જેટલા ચામાચિડીયાના મોત થયા હોવાના અહેવાલ છે. જાણવા મળી રહ્યું છે કે એક એક કરીને ટપોટપ ચામાચિડીયા નીચે પટકાઈ રહ્યા છે. આ ઘટનાની જાણ થતાં અમદાવાદના પશુ પ્રેમીઓએ પણ દહેગામ ફાયર બ્રિગેડની મદદથી વડના વૃક્ષો પર પાણીનો છંટકાવ કર્યો હતો જેથી અન્ય ચામાચીડિયાને ગરમીથી રાહત મળી શકે.
છેલ્લા બે દિવસમાં ગરમીના કારણે દહેગામના હિલોલ ગામની સીમમાં આવેલા વિશાળ વડના વૃક્ષ પરથી 200 જેટલા ચામાચિડીયા પડી ગયા છે. આ ઘટનાની માહિતી મળતા અમદાવાદના જીવ દયા પ્રેમી ગ્રુપના સભ્યો હિલોલ પહોંચ્યા હતા. દહેગામ ફાયર બ્રિગેડની મદદથી વૃક્ષો પર પાણીનો છંટકાવ કરી બચી ગયેલા પક્ષીઓને ગરમીમાંથી રાહત અપાઈ હતી.
45 ડિગ્રીની ગરમીમાં હિટસ્ટ્રોકના કારણે પક્ષીઓના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. દહેગામના હિલોલ ગામમાં આવેલા શિવપુરામાં રોડની બાજુમાં એક વડનું ઝાડ છે. અહીં સેંકડો ચામાચિડીયા રહે છે. ચામાચિડીયા, જે ફક્ત રાત્રે જ દેખાય છે, તે દિવસ દરમિયાન ઝાડની ડાળીઓ પર ઊંધા લટકે છે. જોકે છેલ્લા બે દિવસથી પડી રહેલી અસહ્ય ગરમીનો શિકાર ચામાચિડીયાઓ બન્યા છે. જેના કારણે ચામાચિડીયા નીચે પડીને મૃત્યુ પામ્યા છે.
આ અંગેની માહિતી મળતા હિલોલ ગામના વન્યજીવ પ્રેમીએ ગ્રુપના અન્ય સભ્યોને બોલાવ્યા હતા. બાદમાં મૃત ચામાચિડીયાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ગરમીના કારણે વૃક્ષો પર રહેતા અન્ય ચામાચિડીયાને રાહત આપવા માટે સર્વાઇવલ ટીમે દહેગામ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ઓફિસર સૂર્યદયસિંહ સ્ટાફ સાથે હિલોલ પહોંચી ગયા હતા. અને વડના વૃક્ષો પર પાણીનો છંટકાવ કર્યો.
આ પણ વાંચો: ‘ભગવાન જગન્નાથ PM મોદીના ભક્ત’ નિવેદનનો વીડિયો વાયરલ થતા ભાજપ નેતા સંબિત પાત્રાએ માંગી માફી
આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં ચુકાદો
આ પણ વાંચો: PM મોદી અને રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓએ રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ