સીસીટીવીનું મહત્વ દિવસો જતા વધી રહ્યુ છે. ગુનાને કાબુમાં લેવા અને રોકવા સરકારની મોટાભાગની કચેરીઓમાં હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને એવી જગ્યાઓ જ્યા પબ્લિક વધુ જોવા મળતી હોય ત્યા સીસીટીવી કેમેરાની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઇએ કે, સુરતનાં ઉધના રેલ્વે સ્ટેશન પર 32 સીસીટીવી કેમેરા લગાડવા અને સુરત રેલ્વે સ્ટેશનમાં કેમેરાની સંખ્યા વધારી 86 કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આરપીએફનાં પ્રિન્સિપાલ ચીફ સિક્યુરિટી કમિશ્નર દ્વારા ટૂંક જ સમયમાં બંને સ્ટેશનો પર કેમેરા લગાડી દેવાની વાત કરવામાં આવી છે. ઉધના -સુરત સેક્શન પર ચાલુ ટ્રેને કોલેજ સ્ટુડન્ટનો મોબાઈલ લૂંટની ઘટનામાં પગ કપાઈ ગયા બાદ રેલ્વેને ઉધના અને સુરત રેલ્વે સ્ટેશને સીસીટીવી કેમેરાનું મહત્વ સમજાયું છે અને કેમેરા લગાડવાની તૈયારી કરવામાં આવી છે. હાલ સુરત રેલ્વે સ્ટેશને 32 સીસીટીવી કેમેરા છે જયારે ઉધના રેલવે સ્ટેશનનાં નવીનીકરણ બાદ પણ સીસીટીવી કેમેરા લગાડવાનું મહૂર્ત નીકળી શક્યું ન હતું. ઉધના રેલવે સ્ટેશને કેમેરા લગાડવા વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાંય સીસીટીવી કેમેરા લગાડવામાં રેલ્વેએ રસ દાખવ્યો ન હતો. આખરે 27 એપ્રિલનાં રોજ મહિલા મુસાફરનો પગ કપાઈ જવાની ઘટના સામે આવ્યા બાદ આરપીએફ અને જીઆરપીનાં માથે માછલાં ધોવાતાં ઝડપભેર કેમેરા લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ, સર્ક્યુલેટિંગ એરિયા અને સુરત ભેસ્તાન એન્ડ પર કેમેરા લગાડવામાં આવશે.