Gandhinagar News: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના (CM Gaumata Poshan Yojana) અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકમાં જુલાઈ-2024 થી સપ્ટેમ્બર-2024માટે રાજ્યની વધુ 33 ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી આ ગૌશાળા અને પાંજરાપોળના આશરે 70600થી વધુ પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 19.50 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
આટલું જ નહિ, ઓકટોબર-2024 થી ડિસેમ્બર-૨૦૨૪ના તબક્કા માટેની સહાય મેળવવા ઈચ્છુક ગૌશાળા અને પાંજરાપોળ ઓનલાઇન અરજી કરી શકે તેવા આશય સાથે તા. 1 થી 15 જાન્યુઆરી-2025 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુઓના નિભાવ માટેની સહાય મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ગૌસેવા આયોગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 દરમિયાન કુલ રૂ. 171.05 કરોડની સહાય DBTના માધ્યમથી સીધી સેવાભાવી સંસ્થાઓના ખાતામાં ચૂકવવામાં આવી છે. જેના પરિણામે રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય આપી, આર્થિક રીતે મદદરૂપ થવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ ખરા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શક નેતૃત્વ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ શરુ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળા કે પાંજરાપોળ દ્વારા ગાય અને ભેંસ વર્ગના પશુઓનો નિભાવ કરવામાં આવતો હોય, તેવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ અને નિભાવ માટે દૈનિક પશુદીઠ રૂ. 30 લેખે આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.
આ પણ વાંચો:આધુનિક યુગમાં ‘શ્રવણ’, જૂનાગઢના માણાવદરમાં માતાના નામે શરૂ કરી ‘ગૌશાળા’
આ પણ વાંચો:ભૂપેન્દ્ર પટેલ સરકારે ગૌશાળા-પાંજરાપોળો માટે કરી આ મોટી જાહેરાત,જાણો તમામ વિગત
આ પણ વાંચો:સીએમ ગૌમાતા પૌષણ યોજના હેઠળ ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટર માટે 584 ગૌશાળાને પશુ નિભાવ સહાય અપાઈ
