ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આધુનિક યુગમાં શ્રવણે માતાના નામે ગૌશાળા શરૂ કરી. જૂનાગઢ જિલ્લામાં માણાવદરમાં અનસુઈયા ગૌ-ધામ નામની સુંદર ગૌશાળા છે. આ ગૌશાળા બનાવનાર યુવાન હિતેન શેઠ હાલ મુંબઈ રહે છે. આધુનિક યુગમાં ‘શ્રવણ’ જીવિત છે તે આ વાત બતાવે છે. કેમકે મુંબઈ નિવાસી માણવાદરના આ યુવાને ગૌશાળાનું નામ પોતાની માતાના નામ પરથી રાખ્યું છે. ગૌશાળા બનાવનાર હિતેન પાસે 202 ગિર ગાય છે. આ સાથે તેઓ જરૂરિયાતમંદ લોકોને ટિફિન આપવા સાથે સ્થાનિક મહિલાઓને રોજગાર આપવાનું પણ કામ કરે છે.
હિતેનનું કહેવું છે કે માણાવદરમાં અનસુઈયા ગૌ-ધામ બનાવવાની પ્રેરણા તેમને કોરોના સમયમાં મળી. કોરોના સમય દેશમાટે વધુ કપરો હતો. તેમણે પણ આ સમયમાં પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આ મહામારીના સમયમાં જ તેમના મોટા ભાઈ દિનેશ અને ભાઈ પ્રવીણનું મૃત્યુ થયું. મુંબઈમાં દિનપ્રતિદિન કોરોનાના કેસ વધતા હતા. ત્યારે મને મારું વતન માણાવદર બહુ યાદ આવ્યું. કોરોના દરમ્યાન હું ગામમાં પાછો ફર્યો. ગામમાં રહેવાસ દરમ્યાન હું બીમાર હતો ત્યારે એક મિત્રએ મને ગીરનું વાછરડું ભેટમાં આપ્યું. ગાયના વાછરડાંના સાંનિધ્યમાં સકારાત્મક ઉર્જા મળતા કોઈપણ જાતની દવા વગર હું સાજો થવા લાગ્યો.
યુવાને વધુમાં જણાવ્યું કે ગાયના વાછરડાંના સાંનિધ્યમાં મને સંતોષ પણ મળતો હતો. આથી મને ગાયના સંવર્ધનનો વિચાર આવ્યો. અને માણાવદરમાં અનસુઈયા ગૌ-ધામની શરૂઆત કરી. તેમના પિતા પણ ગીર ગાયો પાળતા હતા. જો કે હાલમાં ગીર ગાયનું સંવર્ધન ઘટી રહ્યું છે. આથી ગીર ગાયના સંવર્ધનનો વિચાર આવ્યો. આ માટે મેં હોંગકોંગમાં રહેતા મારા મોટા ભાઈ વિજય સાથે વાત કરી. તેમણે પણ સંમતિ આપી અને 72 ગીર ગાયો ખરીદી. તેમના સંવર્ધન માટે ખર્ચાળ ફિકસ પણ લાવવામાં આવ્યા હતા. છ મહિનામાં ગાયોની સંખ્યા વધીને 152 થઈ ગઈ છે. હાલમાં 202 નાની-મોટી ગાયો અને નંદી છે. આ માટે લગભગ સાડા ચાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમની સંભાળ લેવા માટે 3 સંપૂર્ણ સમયના પશુચિકિત્સકો છે. દરેકના સ્વાસ્થ્યની માહિતી એકત્ર કર્યા બાદ તેમને ભોજન આપવા માટે એક રજિસ્ટર બનાવવામાં આવ્યું છે.
માણાવદરમાં અનસુઈયા ગૌ-ધામ ની સાથે અનસૂયા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે. આમાં 50 ટકા કર્મચારીઓ મહિલાઓ છે. જેના કારણે ગામની સ્થાનિક મહિલાઓને રોજગારી મળી રહી છે. હાલમાં 41 લોકો નોકરી કરે છે. આ ઉમદા કાર્યમાં હિતેનભાઈને તેમના પત્ની મેઘના પણ મદદ કરે છે. જો કે મેઘના બેનનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો છે છતાં ગામડાના શુદ્ધ વાતાવરણ અને ગાયો પ્રત્યે પ્રેમ વધતા માણાવદર સાથે એક અતૂટ લાગણીનો સંબંધ બંધાયો. આથી જ તેઓ માણાવદરના ગૌધામ અને અન્નક્ષેત્રમાં જોડાઈ ટિફિન દ્વારા અનાજ પૂરું પાડવા અને સ્થાનિક મહિલાઓને રોજગાર આપવા જેવા ઉમદા કાર્ય દ્વારા લોકોને પ્રેરણા આપી રહ્યા છે.
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :