– ધોરણ 1થી 12માં 1843 કુમાર અને 2273 કન્યાઓ શિક્ષણથી વંચિત રહેતા સ્પેશ્યલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ આવરી લેવાશે
– જિલ્લામાં સૌથી વધુ ચોટીલા તાલુકામાં 689 અને સાયલામાં 85 બાળકો શિક્ષણથી વંચિત
– સુરેન્દ્રનગર જિલ્લામાં શાળામાં ભૂતિયા નામો અંગે સઘન તપાસ શરૂ
સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત 6 થી 16 વર્ષની વય જુથના શિક્ષણથી વંચિત રહી ગયેલા ધો 1 થી 12 સુધીનું કદી શિક્ષણ મેળવ્યું નથી તેવા અને અધવચ્ચે શાળા છોડી દીધી હોય તેવા 6 થી 19 વર્ષની ઉમરના બાળકોના સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 31મી જાન્યુઆરીએ પુરા થયેલા સર્વેમાં જિલ્લામાં 4116 બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યુ છે. જેમાં સૌથી વધુ ચોટીલા તાલુકામાં 689 બાળકો અને સૌથી ઓછા સાયલા તાલુકાના 85 બાળકો મળી આવ્યા છે.
દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે
સુરેન્દ્રનગર જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીના વડપણ હેઠળ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં 6થી 19 વર્ષની વય જુથના શિક્ષણથી વંચિત રહી ગયેલા ધો 1 થી 12 સુધીનું કદી શિક્ષણ મેળવેલા નથી તેવા અને ધો-12 સુધીનું શિક્ષણ પુર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલા છે. તેવા દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો જિલ્લાની તમામ શાળા મારફત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાનાં 88 સી.આર.સી. કો-ઓર્ડીનેટર, 10 બી.આર.સી અને શાળાઓના આચાર્ય- સ્ટાફ વિગેરે સહિત 860 જેટલા એસ.એમ.સી. દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી હતી.
આ સર્વેમાં જુદા જુદા કારણોસર જુદીજુદી વય જુથનાં અને ધોરણ-જ્ઞાાતિનાં આશરે 4116 બાળકો અને બાળાઓ શિક્ષણથી વંચિત મળી આવ્યા હતા. તાલુકા પ્રમાણે જોઈએ તો ચોટીલા તાલુકામાંથી 689, ચુડા તાલુકામાંથી 603, ધ્રાંગધ્રા તાલુકામાં 131, લખતર તાલુકામાં 566, લીંબડી તાલુકામાં 479, મુળી તાલુકામાં 403, પાટડી તાલુકામાં 538, સાયલા તાલુકામાં 85, થાનગઢ તાલુકામાં 413 અને વઢવાણ તાલુકામાં 209 બાળકો અને બાળાઓ શિક્ષણથી વંચિત હોવાનું સામે આવ્યુ હતુ. સૌથી વધુ ચોટીલા તાલુકામાં 689 અને સૌથી ઓછા સાયલા તાલુકામાં 85 બાળકો મળી આવ્યા હતા.
1843 કુમાર અને 2273 કન્યાઓ જુદાજુદા કારણોસર શિક્ષણથી વંચિત રહેલા છે. સર્વે દરમ્યાન તારવવામાં આવેલા આ બાળકોને તંત્ર દ્વારા નવા શૈક્ષણીક સત્રથી સ્પે. ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ આવરી લઈ તેમને શિક્ષિત બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. જે બાળકોએ જે ધોરણમાંથી અભ્યાસ અધવચ્ચે છોડ્યો હશે. તેમને ત્યાંથી શરૂઆત થાય તેવા પ્રયાસો કરાશે. જે બાળકો ક્યારેય શાળાએ ન ગયા હોય તેમને ઉંમર પ્રમાણે જે તે ધોરણથી શિક્ષિત કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ 6 મહિના, 9 મહિના અને 12 મહીનાનો તબક્કાવાર પ્રોગ્રામ હોય છે. જેમાં જિલ્લાના આ 4116 શિક્ષણથી વંચિત બાળકોને આવરી લઈ શિક્ષીત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
શિક્ષણથી વંચિત રહેવાનાં જુદાજુદા કારણો અને પરિણામો જવાબદાર
કોઈપણ વ્યકિતના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ ખુબજ જરૂરી હોય છે. પરંતુ કેટલાક પરિવારોના બાળકો એક યા બીજા કારણોસર શિક્ષણ મેળવી નથી શકતા અથવા તો વધુ અભ્યાસ નથી કરી શકતા.જેમ કે, આર્થિક મુશ્કેલી, બાળકને પોતાને ન ભણવુ હોય, માતા-પિતા ભણાવવા માંગતા ન હોય, ઘરકામ, માતા-પિતાની છત્રછાયા ન હોય, વિગેરે જેવા અનેક સામાજીક આર્થિક, કૌટુંબીક કારણો અને પરિબળો જવાબદાર હોય છે. જેને કારણે બાળક શિક્ષણથી વંચિત રહી જાય છે.
સરકાર અને શિક્ષણ તંત્ર દ્વારા આવા બાળકોના સર્વે હાથ ધરીને તેમને શિક્ષીત બનાવી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો થાય છે. તપાસ દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાઓમાં બાળકોના ભુતિયા નામો ચાલતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ચોટીલાની શાળાના આચાર્ય સામે કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
ચોટીલામાં આવેલી 150 વર્ષ જુની પારેખ ગુલાબચંદ કરમચંદ પે-સેન્ટર શાળાનં-1માં ભુતિયા બાળકોના નામો ચાલતા હોવાની વિગતો અને ગંભીર ક્ષતિઓ ધ્યાને આવતા શાળાના આચાર્ય જગદીશચંદ્ર પ્રજાપતિ બે વાર્ષિક ઈજાફા અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. વધુ જાણવા મળતી વિગત મુજબ શિક્ષણ વિભાગે હાથ ધરેલી તપાસમાં ચોટીલાની શાળામાં બાળકોના ભુતિયા નામો ચાલવા ઉપરાંત શાળામાં સ્વચ્છતાનો અભાવ, દફતર-સાહિત્ય અપડેટ ન હોવુ, કોવિડ-19ની ગાઈડ લાઈનના અમલમાં બેદરકારી સહિતની બાબતો ધ્યાને આવી હતી. તેથી શાળાના આચાર્ય સામે શિક્ષાત્મક કાર્યવાહી રૂપે બે વાર્ષિક ઈજાફા અટકાવી દેવાયા હોવાનું જાણવા મળે છે.